Wednesday, June 17, 2020

આદિવાસીઓ પર જમીન સંપાદનના નામે સરકારની લુખ્ખી દાદાગીરી, વીડિયો પુરો જોવા વિનંતી...

  • કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આસપાસના 6 ગામમાં ફેન્સીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં કેવડીયા, કોઠી, વાગડીયા, નવાગામ, લીમડી, ગોરા ગામ સામેલ છે.
  • ગામ લોકોએ સ્થળ પર જઈ વિરોધ કર્યો છે, ગામ લોકોનું કહેવું છે કે જ્યારથી લોકડાઉનમાં છૂટછાટ  આપવામાં આવી છે ત્યારથી નર્મદા નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ દ્વારા પોલીસ કાફલા સાથે જમીનનું સર્વે કરી અને ફેન્સીંગ (વાડ) કરવામાં આવી રહ્યુ છે.
  • સ્થાનિક ગ્રામસભાઓને પૂછ્યા વગર નર્મદા નિગમ મનફાવે તેમ નિર્ણયો લઈ આદિવાસીઓ પર અત્યાચાર ગુજારી રહી છે. નર્મદા પોલીસ આદિવાસીઓને ડરાવી- ધમકાવી માર મારી રહી છે, તેમજ ખોટાં કેસો કરવાની ધમકીઓ આપી રહી છે.
  • ગામલોકોનું કહેવું છે કે અમને આંતકવાદી અને નક્સલવાદી કહેવામાં આવી રહ્યાં છે, આ જમીન અમારી છે, એથી સરકારને જમીનનો એક ટૂકડો પણ નહિ મળે.
  • આ આદિવાસીઓ પાસે પોતાનુ પેટિયું રળી લેવા એક માત્ર આ જમીન છે, જે હવે સરકાર ઝુંટવી રહી છે.

શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત ગંભીર, વીડિયો પુરો જોવા વિનંતી...

  • કોરોનાને રોકવા સરકારે લોકડાઉન તો લાધ્યું પણ આ લોકડાઉનથી ખેડૂતોની હાલત ગંભીર બની છે. 
  • ખેતરમાં 4 મહિનાની કાળી મજૂરી કર્યા બાદ તૈયાર થયેલ ગવારને આજે ખેડૂત માણસની જગ્યાએ ગાય-ભેંસ ખવરાવવા મજબૂર બન્યો છે,
  • 3 મજૂરને 500 રુપિયા મજૂરી આપી વિણેલા ગવારનો બજારમાં માત્ર 150 રુપિયા ભાવ મળે છે, 
  • આ ગવારને બજાર સુધી પહોચાડવાનો ખર્ચ 150 રુપિયા થાય છે...
આ પાછળ મૂળ 5 કારણ જવાબદાર છે...
  1. બજારમાં માંગ ઘટી
  2. ખેડૂતોને શાકભાજીનો પુરતો ભાવ ન મળવો
  3. માર્કેટમાં ચાલતી એજન્ટ અને વચેટિયાશાહી
  4. સરકારે ખેડૂતોની મૂળ સમસ્યા પર કોઇ ધ્યાન જ આપ્યું નથી,
  5. શાકભાજી માર્કેટ સુધી પહોંચવાનો ખર્ચ વધુ થાય છે, સામે પુરતો ભાવ નથી...

Thursday, May 14, 2020

#LockdownDiary: બનાસકાંઠાના પશુપાલકો દૂધને ગટરમાં રેડવા મજબૂર...

  • બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા કોરોના ગ્રસ્ત વિસ્તારમાં આવેલી 46 દૂધ મંડળીઓનું દૂધ લેવાનું બંધ કરતા હજારો પશુપાલકોની હાલત કફોડી બની છે.
  • હાલમાં 45 દૂધ મંડળીઓનું દૂધ લેવાનું બનાસ ડેરીએ બંધ કર્યું છે, માત્ર એક આસેડા ગામની દૂધ મંડળીમાં જ 1150 જેટલા દૂધ ગ્રાહકો છે અને આ ગ્રાહકોનો દર મહિને દોઢ કરોડ રૂપિયાનો પગાર લે છે. હવે આ ગામના પશુપાલન પર નભતા લોકોને દર મહિને દોઢ કરોડનું સીધું નુકશાન છે.
  • પશુદાણ અને ઘાસચારો મોંઘો છે, પશુદાણની એક બોરી પર 300થી 400 રુપિયાનો વધારો કરી દેવાયો છે.
  • 45 દૂધ મંડળીઓમાં અંદાજે 20 હજાર જેટલા પશુપાલકો રોજ દૂધ ભરાવે છે, પરંતુ આ તમામ પશુપાલકોનું દૂધ બંધ થતા લોકો રઝળી પડ્યા છે.
  • બીજી તરફ દૂધનો નિકાલ પણ કઈ રીતે કરવો એ પણ એક સમસ્યા છે, જેના કારણે કંટાળેલા પશુપાલકો દૂધ હવે ગટરો રેડી છે કે પછી કૂતરાઓને પીવડાવીવા માટે મજબૂત બન્યા છે.
  • સરકાર આ પશુપાલકોનું દૂધ ખરીદે તો જ સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે.
  • લોકડાઉનના સંકટમાં ડેરી પ્રશાસને દાણના ભાવ ઓછાં કરવા જોઇએ...

Tuesday, April 28, 2020

લોકડાઉન ડાયરીઃ દેસી AC...

પસ્તીના કોથળા અને ટપકમાંથી નિવૃત થયેલી નળી...

જેમાંથી અનાજ સોંસરુ નિકળી જાય એવા વપરાશ બહારના કોથળા અને ટપક સિંચાઈમાંથી નિવૃત થયેલી નળી જે પાંણીના દંદૂળા કરતી હોય...સાથે ચીકણી માટીનો લેપ, જે પલળે એટેલે એની સુગંધ ભરેલા પેટે પણ માટી ખાવાની લાલસા જન્માવે...એવી આ ગામડાંની AC...હવે મોબાઈલ આવ્યાં એટલે જૂના ટબલાના જે વાયર પડ્યાં હોય એને ટેકે કોથળા લડકાવવાના...



હૈદરાબાદમાં રામુદાદાની ઓફિસમાં AC એટલું બધુ ઠુંડુ હોય કે, સ્ટોરીયું ચેક કરતા ગુસ્સો આવે તો શાંત કરે દે. જેવી ઓફિસ છોડો કે, હૈદરાબાદી સીધી ગરમી દઝાડે...6 મહિને જ્યારે ઘરે આવું તો ગામડાંની આગઝારતી ગરમી અને ઈય પાછી હીટ સિટી ઇડરના ગામડાની ગરમી વાટ લગાવી દે...આ વખતે 10 દિ માટે ઘરે આવ્યો હતો, પણ કોરોના લોકડાઉને મારી મને ડાઉન કરી નાખ્યો છે....જેથી હવે ગરમીથી રહેવાતું ન થ...

કુત્રિમ પણ કુદરતી લાગતી આ એસીમાં વર્ક ફોમ હોમ કરવાની મજા આવે, પણ નેટવર્કના ધાંધિયા તો ખરા જ...ગામની ગરમી સહન ન થઈ એટલે જ આ વિચાર આવ્યો જૂના કોથળા શોધી દેસી એસી બનાવી છે....જ્યાં સુધી લોકડાઉન ખુલે નહીં ત્યાં ટાઢા વાયરામાં કામ કરીશું...

સાધન સામગ્રી-

કામ ન લાગે એવા 3 કોથળા

ટોલિફોન ટબલાનો એક વાયર

ટપકમાંથી કાંઢી નાખેલી નળી

લોકડાઉન ડાયરી: ગામઠી જીવન, જે કદાચ વિસરાઈ ગયું...

મને લોક ડાઉને સમજાવ્યું કે, અંતે ગામડું જ તમારી સફળતાનું નિમેત બન્યુ છે. કદાચ બધાની કહની અલગ અલગ હોઇ શકે પણ એક ગ્રામિણ વિચારસુઝ તો છે જ. જે બધા પાસે એક જ હતી, છે અને રહેશે...જે આપણા બધાની સફળતા અને નિષ્ફળતામા સાથે હોય છે...



શહેરમા રહેતા તમામ ગામઠી-શહેરુ લોકોની પોત પોતાની એક અલગ અલગ સ્ટોરી છે, જેનાથી ઍ બધા લોકો ગામથી શહેર તરફ ગયા...આ સિદ્ધિઓમા ક્યાક એવા માણસોની મદદ, ફરજ, હક્ક સંતાયેલા છે...જે મા-બાપ, શિક્ષક, મિત્રો, ગામઠી ગર્લફ્રેન્ડ, પ્રકૃતિ વગેરે વગેરે, આજે પણ આ લોકો જીવે છે, ફર્ક બસ એટલો જ છે કે આપણે થોડા મોટાં થઈ ગયા છીએ અને થોડાક પૈસા પણ વધી ગયા છે...આ એજ લોકો છે, જે કદાચ હાલ શહેરિયોને સાહેબ કહીને બોલાવે છે, જે દેખાય એને સાચુ માને એવા ભોળા લોકો...

આજે આપણને ગામડાંના ખેડૂતની સમસ્યા કરતા સિનેમાની ટિકિટ વધારે મોંઘી લાગી રહી છે, પણ આજે જુઓ ઍ ખેડૂત જ આજે દેશ ચલાવી રહ્યો છે. ઍ મહિલાઓને કારણે જ શહેર સુધી દૂધ પહોચી રહ્યું છે...ઍ ખેડૂતને લીધે જ શાકભાજી મળી રહ્યું છે...

આ ટેકટર ખેતર અને ગીતથી એજ સમજાય છે કે, આપણી સફળતાના સુખમા ક્યાક આ નિમેત બન્યુ છે...

તો ચાલો એક લિસ્ટ બનાવી એવા લોકોને મળી લઈએ જેમને આપણેને મદદ કરી છે...એવા શિક્ષકોની મુલાકાત કરીયે જમણે પ્રાથમિકમા પાઠ ભણાવ્યા છે...જેમને મારી મારીને વાંચતા કર્યા હતા. એવા મિત્રોને મદદ કરી લઈએ જેમને સાચો ખોટાનો વિચાર કર્યા વગર આપણી સાથે રહ્યાં છે... મેં તો લિસ્ટ બનાવી શરુઆત કરી લીધી છે પણ તમે...

લોકડાઉન ડાયરીઃ વિશ્વ પુસ્તક દિવસ- વાંચન માત્ર નવું જાણવા-લખવા પુરતું...

અત્યાર સુધીના જીવનમાં થોડું થોડું પણ વાંચન મારા માટે મહત્વનું રહ્યું. ગામડાંની પ્રાથમિક શાળામાં હતો ત્યારે વાર્તાઓની પુસ્તકો ઘરે વાંચવા લાવતો...એક વાર આખી વાંચવાની અને પછી બીજી વાર ચોપડામાં જે ગમ્યું હોય એ ફરી વાંચવાનું...નાનો હતો ત્યારે ખેતરે જતો પપ્પા કામ કરાવવાના મ્હાલે મને શોર્ય વાર્તાઓ કહેતા એમાં પણ અબ્દુલ હમીદની શોર્ય કથા બહુંવાર સાંભળેલી એટલે જ કદાચ આજે સરહદ પર કોઈ જવાન શહીદ થાય તો દુઃખ થાય છે...પોલીસ પર પથ્થરમારો થાય ત્યારે દુઃખ થાય છે.

હું જ્યારે જ્યારે શાળામાંથી 2 બુક લાવતો ત્યારે મારા પહેલા પપ્પા એક બુક પુરી કરા દેતા...હાઈસ્કૂલમાં ગયો ત્યારે ખબર પડી કે કોઈ બુક વાંચવા માટે તમારે લાયબ્રેરી સુધી જવું પડે...એટલે જ આજે એ તમામ લાયબ્રેરી અને ગ્રંથપાલ સાથે સારા અંગત સંબંધ છે. એક ગ્રંથપાલ માટે આનંદ અને ખુશીની બાબત એક સારો વાંચક હોય છે. ITI કરતો ત્યારે બહુ રખડતો પણ થાકીને નગર પાલિકાની લાયબ્રેરીમાં જતો અને કંઈ પણ વાંચતો...

મારા માટે કોલેજ, વાંચનની એક નવી દિશા આપી ગઈ. કોલેજ અને ઘર વચ્ચે 25 કીમીનું અંતર હતું. જેથી સવારે વહેલા બસની લાઈટ ચાલુ રખાવી ન્યૂઝ પેપરના કટઆઉટ વાંચતો. જેથી વાંચનની ભૂખ જાગેલી...કોલેજમાં ઇતિહાસ વિષય હતો. જેથી જૂનો ઇતિહાસ અને નવું વાંચવાનું રહેતું...હું કોલેજમાં સુવિચાર લખતો. એટલે દરરોજ કંઈક નવું લાખવા વાંચવું પડતું. હું જ્યારે કોલેજના કોઈ વર્ગમાં ન હોવ તો મારા મિત્રો નક્કી કરી લેતા કે એ લાયબ્રેરીમાં જ હશે અને ઉઠાવી જતા. કોલેજમાં ગયો અને 10 પુસ્તકોવાળા પત્રકારત્વ વિગાગની તમામ બુક વાંચી નાંખી અને પહેલાથી જ ન્યૂઝ જોવામાં અને રાજકારણમાં રસ હતો પણ નેતા બનવાનો નહીં. પછી પત્રકારત્વ કરવાનું નક્કી કરી નાખ્યું. વચ્ચે છ મહિના GPSC પરીક્ષાની તૈયારી કરી અઢળક પુસ્તકો વાંચી, પણ પછી સમજાઈ ગયું કે, આટલી મહેનત હું પત્રકારત્વમાં જ કરું તો કેવું સારુ...

મારા વાંચનને નવો ચીલો ગાંધીની ગૂજરાત વિદ્યાપીઠથી મળ્યો. વિષય વાઈઝ વાંચવાનું, MA કક્ષાની ડિગ્રી માટે થોડું કામ કરવું પડતું જેથી ગાંધીજીને વાંચવાનો આનંદ મળ્યો જે આજે પણ યથાવત છે. જ્યારે જ્યારે પત્રકારત્વમાં સંકોચ થાય ત્યારે ત્યારે આજે પણ ગાંધીજીને વાંચુ છું. અસાઇમેન્ટ માટે લખાવનું હોય, જેથી લાયબ્રેરીમાં જતો. ગાંધીયુગના એક-બે પત્રકારો વિશે શોધ કરવાની હતી. જેથી ગાંધીજી, મહાદેવભાઈ, સરદાર પટેલને વાંચવાનું સૌભાગ્ય મળ્યું...ગાંધીજીના તમામ અક્ષરદેહ, ડાયરી, પત્રો અક્ષર સહ બે વખત વાચ્યાં છે, પણ ગાંધીજી વિશે કોઈ કંઈક બોલવાનું કહે ત્યારે સામેથી ના પાડી દઉ છું. બાપુએ કેટલું લખ્યું છે યાર....હજુ સુધી વાંચી નથી શક્યો. ગુજરાતી સાહિત્ય ગમ્યું એટલું જ વાચ્યું છે.

વિદ્યાપીઠમાં અશ્વિનભાઈને કારણે હું લાયબ્રેરીમાં નવા નવા પુસ્તકો વાંચતો રહ્યો. કોઈ પુસ્તક શોધવાની હોય ત્યારે પહેલા ગુજરાતી વિભાગમાં જવાનું અને એક નાની ગઝલની પુસ્તિકા વાંચતા વાંચતા બુક શોધવાની. અશ્વિનભાઈ હ્યુમર લખતા અને કહેતા... વિદ્યાપીઠની લાયબ્રેરીમાં પત્રકારત્વને ઢ વિભાગ મળ્યો... નવા શબ્દો અને રેફરન્સ માટે શબ્દકોશ વાંચવા જતો. કેટલાક એવા રેફરન્સ પણ આવતા કે 1975ની બુક લાયબ્રેરીમાં બેસીને જ વાંચવી પડતી. આ બધાની વચ્ચે લાયબ્રેરીના તમામ સેવકોએ સાથ આપ્યો છે.

એકવાર GLFમાં ઉર્વિશ કોઠારીને મળ્યો, ત્યારે એમને કહેલું કે જો તમે પત્રકાર છો તો તમારી બેગમાં એક ડાયરી ને બે પુસ્તકો હોવા જ જોઈએ. ત્યારથી અત્યાર સુધી મારી પાસે પુસ્તક વગરનો એક પણ દિ નથી ગયો. થોડું તો થોડું વાચ્યું છે. પત્રકારત્વમાં આવ્યાં પછી પુસ્તકની સાથે સાથે કેટલાક મીડિયાના કાર્યક્રમો જોવા જરૂરી બન્યા છે, વાંચવાનું બંધ કર્યું નથી, પણ ઓછું જરૂર થયું છે.

હૈદરાબાદ ગયો ત્યારે એક વિમલ પાન મસાલાનો થેલો ભરીને પુસ્તકો લઈ ગયો હતો. જે આજે 2 થેલા સુધી પહોંચી ગયાં છે. મારા માટે કોઈ ઉત્તમ ગિફ્ટ એક સારુ પુસ્તક જ છે, જે હું આપું છું અને લઉ છું પણ ખરો. નવાબોના શહેરમાં રામુદાદાની ફિલ્મસિટી સુધી પહોંચવા એટલે કે જોબ માટે 28 કીમીનું અંતર કાપવું પડે છે. એટલે 2.5 વર્ષમાં 9 પુસ્તકો બસમાં જ પુરી કરી છે. માત્ર વિષય વાઈઝની

આજે એવું લાગે છે કે, પત્રકારત્વમાં એક્ટિવિઝમ ઘૂસ્યુ છે...જે રાઈટ અને લેફ્ટ તરફ જતું દેખાઈ રહ્યું છે. જે સવાલ-જવાબ પુરતું સીમિત બન્યું છે એટલે હવે ગાંધીજીનું સાહિત્ય અને પત્રકારત્વ નથી દેખાતું. જે આજે મને પ્રાસંગિક લાગી રહ્યું છે. જેથી ફરી પાછો હું ગાંધીજી તરફ જઈ રહ્યો છું. આ વર્ષથી સંશોધનમાં આગળ વધવાનો પ્લાન છે માટે હવે એકાગ્ર થઈ વાંચવું ફરજીયાત બન્યું છે. સારા પુસ્તકોની સલાહ આપતો નથી કેમ કે દરેક પુસ્તક પોતાના અસ્તિત્વ સાથે જીવતું હોય છે અને દરેક લેખક માટે પોતાનું પુસ્તક એક દિકરા સમાન છે.

વાંચન મારા માટે એક મિત્રના સાથ જેટલું જ મહત્વનું રહ્યું છે. એના માટે કોઈ જ કોમ્પ્રોમાઈઝ કરતો નથી, પણ એવો ઘણો સમય વાચ્યાં વગર વિતી જાય છે, આ 2020માં મેં નક્કી કર્યું છે કે, 12 મહિનાની 12 ટૂંકી વાર્તાઓ લખવી છે, પણ હજુ સુધી શરૂઆત કરી નથી. અત્યારે ડિજીટલ વાંચનનો માહોલ છે, પણ પુસ્તક જેવી મજા નથી, પણ લેખકોએ ડિજીટલ થવું જારૂરી બન્યું છે. આજે લોકડાઉન છે, મારી બેગમાં રહેલી આ ત્રણ પુસ્તકો હાલ મારા લોકડાઉની મિત્રો છે. વાંચન માણસને જીવંત રાખે છે,

- કલ્પેશ

Monday, February 17, 2020

રંગ બદલતું ગુજરાત...




આપણું નવું દિવાળીએ પણ ઉજવણી 31

રંગ બદલતું ગુજરાત...શું તમે આ ગુજરાત જોયું? વીડિયો પુરો જોવા વિનંતી

'હેલ્લારો' હૈદરાબાદી ગુજરતીઓ માટે અધૂરી, કહેવુ છે હેલ્લારો-2 લાવો...





'હેલ્લારો' હૈદરાબાદી ગુજરતીઓ માટે અધૂરી, કહેવું છે હેલ્લારો-2 લાવો...

#hellaro #AbhishekShah #Gujarati #Kutchi #Kutch #હેલ્લારો

‘હેલ્લારો’ ભારતની બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતીને પહેલા જ બાજી મારી ગઈ હતી. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં, હવે ફાઈનલી ફિલ્મ પડદા પર આવી ગઈ. ફિલ્મ રિલીઝ થઈ ત્યાર બાદ ખાસ અમદાવાદમાં લોકોએ બહુ વખાણ કર્યા હતા. આજે આપણે હૈદરાબાદમાં રહેતા કચ્છી ગુજરાતીઓ સાથે વાત કરીશું....

- ફિલ્મમાં વખાણવા લાયક તો સૌમ્ય જોશીના શબ્દો અને આદિત્ય ગઢવીનો અવાજ

- બેકગ્રાઉન્ડમાં વાગતું ગીત ‘માંગી લેજે સપના વિનાની ખાલી રાત’ થિયેટરના સાઉન્ડથી રૂવાડા ઉભા કરી દે છે.

Cameraman- Vagh Praful

ગોધરાકાંડ ફાઈનલ રિપોર્ટ, તાત્કાલીન મોદી સરકાર પર સવાલો કરનાર 3 અધિકારી નકારાત્મક

વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6માં આગ લાગયા બાદ રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં, ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિધાનસભા ગૃહમાં 9 વોલ્યુમ, 2500થી વધુ પેજ અને 44 હજારથી વધુ એફિડેવિટ સાથેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કમિટી દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં થયેલા તોફાનો કોઈ પૂર્વઆયોજિત કાવતરું નહોતું, તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સાથીઓને ક્લીનચીટ અપાઈ છે. ગોધારાકાંડમાં રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓને કોઈ સંડોવણી નથી. આ રિપોર્ટમાં પૂર્વ પ્રધાન હરેન પંડ્યા, ભરત બારોટ અને અશોક ભટ્ટના સંદર્ભમાં જે આક્ષેપ કરાયા હતા. તે તમામને પણ ક્લીનચીટ અપાઈ છે. જો કે, તાપસ પંચના તારણોમાં ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક ગણાઈ છે. જેમાં રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમાર નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યા છે. રિપોર્ટના તારણો વાચ્યાં પછી લાગ્યું કે, આ ત્રણ અધિકારી કોણ છે? ઘણી બધી જગ્યાએ વાચ્યાં પછી લગ્યું કે, આ અધિકારીઓ વિશે વાત કરવી જોઈએ, જી...હા આ એજ અધિકારી છે જેમણે તાત્કાલીન મોદી સરકાર પર સવાલો કર્યા હતાં.

જ્યારે મોદીના 'ગુડમેન' સંજીવે જ મોદીને તોફાનો માટે જવાબદાર ઠેરવ્યા



સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા. જેઓ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા હતાં. ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને હાલ જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે. 2002ના હુલ્લડની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાંવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ સંજીવ ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી હતી. IITમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કેડરના આઈપીએસ હતા. એક સમયે નરેન્દ્ર મોદીના 'ગુડમેન' અધિકારી તરીકે ઓળખાતા સંજીવે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા હતાં. 2011માં સંજીવ ભટ્ટે એક ઍફિડેવિટમાં કહ્યું હતું કે, ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે, હિંદુઓને આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ. જોકે, આ અંગે મોદી સરકારે કહ્યું હતું કે, સંજીવ ભટ્ટ આ બેઠકમાં હાજર જ નહોતા, જેના કોઈ સાક્ષી કે પુરાવા પણ નથી. સતત નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને લઈને ચર્ચામાં રહ્યા હતાં. આમ, સસ્પેન્ડેડ IPS અધિકારી સંજીવ ભટ્ટે પણ કમિશન સમક્ષ ઍફિડેવિટ કરીને નરેન્દ્ર મોદીને તોફાનો માટે જવાબદાર ઠેરવ્યા હતા.

જ્યારે આર.બી. શ્રીકુમારે નાણાંવટી કમિશાન પર સવાલો કર્યા



1971ની બેચના IPS અધિકારી આર.બી. શ્રીકુમાર રાજ્યના ભૂતપૂર્વ પોલીસ વડા રહ્યાં. તેઓએ ગુજરાત રમખાણોના કેસમાં 9 સોગંદનામા દાખલ કર્યા હતા. જ્યારે રાજ્યમાં ગોધરા કાંડની ઘટનાઓ બની હતી ત્યારે શ્રીકુમાર રાજ્યની ગુપ્તચર શાખાના વડા હતા. તેઓએ નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનો ફોન ટેપ કરવાનો આદેશ આપ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આર. બી. શ્રીકુમારે ગુજરાત હાઈકોર્ટમાં એક પીલ દાખલ કરીને નાણાંવટી કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી હતી. નાણાંવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ 25 સપ્ટેમ્બર, 2009ના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર શ્રીકુમારે સવાલો કરતા કહ્યું હતું કે, નિયમને આધારે કોઈ પણ કમિશનનો રિપોર્ટ 6 મહિનાની અંદર વિધાનસભામાં એક્શન ટેકન રિપોર્ટની સાથે રજૂ કરવાનો હોય છે, પરંતુ સરકારે બહુ મોંડુ કર્યું છે. શ્રીકુમારનો આરોપ હતો કે, પીડીતોને આ કમિશનથી ઘણી આશાઓ હતી, પરંતુ લોકોને કંઈ જ મળ્યું નથી. નાણાંવટી કમિશન સમક્ષ આર. બી. શ્રીકુમારે એક સોગંદનામુ રજૂ કર્યું હતું. એ વખતે શ્રીકુમાર ઇન્ટેલિજન્સ બ્યૂરોના ચીફ તરીકે ફરજ બજાવતા હતા અને ત્યારે તેમણે તોફાનોને લગતી માહિતી વિશે સરકારને જાણ કરી હતી.

જ્યારે રાહુલ શર્માએ મોટો પુરાવા તરીકે ફોન-કોલ્સની સીડી રજૂ કરી



રાહુલ શર્મા 1992ની બેચના IPS અધિકારી હતાં. 2002માં થયેલા રમખાણમાં ભાવનગરના DSP તરીકે રાહુલ શર્માએ તોફાનીઓ દેખાય ત્યાં ઠાર મારવાનો આદેશ આપ્યો હતો. જોકે IPS અધિકારી રાહુલ શર્માનો આ આદેશ તત્કાલીન ગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફિયાને પસંદ ન આવ્યો. એટલે શર્માની અમદાવાદમાં બદલી કરી દેવામાં આવી હતી. શર્મા તોફાનમાં માલ-મિલ્કત અથવા માણસ ગુમાવ્યો હોય અને ફરિયાદ ન નોંધાઈ હોય તેવા લોકોને બોલાવી બોલાવીને ફરિયાદ નોંધવા લાગ્યા હતાં. એટલે અમદાવાદ પોલીસ કમિશનરે તેમને કંટ્રોલરૂમમાં ખસેડી ક્રાઈમ બ્રાન્ચની મદદમાં મૂકી દીધા હતા. 2002માં ગુજરાતમાં મોબાઇલ ટેલિફોનની સુવિધા આપતી બે જ કંપનીઓ હતી. રાહુલે આ બંને મોબાઇલ કંપનીઓને કહ્યું હતું કે, 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના તમામ મોબાઈલ ધારકોની કોલ્સ ડિટેઇલ આપો. રાહુલ શર્માને મોબાઇલ કંપની દ્વારા જે કોલ ડિટેઇલ્સ આપવામાં આવી તે એક મોટો પુરાવો સાબિત થવાનો હતો. ગોધરાકાંડની તપાસ કરી રહેલા જસ્ટિસ નાણાંવટી સામેની જુબાનીમાં રાહુલ શર્માએ એ દિવસની ફોન-કોલ્સની સીડી રજૂ કરી હતી. જો કે, નાણાંવટી પંચમાં ગુજરાત સરકારે રાહુલ શર્માની સીડીનો વિરોધ કર્યો હતો, ત્યારે તોફાનની તપાસમાં માટે નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે રાહુલ શર્માની સીડીને પુરાવા રૂપે ગણી હતી, પરંતુ આજે આ ત્રણેય IPS અધિકારીને નકારાત્મ ગણવામાં આવ્યાં છે. આમ, મોદી સરકારના વિરોધી અને સરકાર પર સવાલો કરનાર અધિકારીઓની ભૂમિકા પર હવે સવાલો થઈ રહ્યાં છે.

સંદર્ભ
- ગોધરાકાંડનું અધૂરુ સત્ય, પ્રશાંત દયાળ
- ગુજરાત ફાઈલ્સ, રાના અયુબ
- પદડા પાછળનું ગુજરાત, આર.બી. શ્રીકુમાર

વિજયભાઈ સંતાકુકડીના દૂધપાકી સાબિત થયા

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થયાના CCTV સામે આવ્યા અને વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાની વાત કરી ગાંધીનગરમાં આંદોલન કર્યું. આ વિરોધ પ્રદર્શન જોઈ 1973માં વિદ્યાર્થીઓે છાત્રાલયના ભોજન શુલ્કમાં વધારો પર હડતાલ કરી હતી. બાદમાં આ ગુજરાત યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણો થઇ જેનાથી સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી આંદોલનો શરૂ થયા હતાં. આમ, અન્યાય સામે અવાજ ઉઠાવવા વિદ્યાર્થીઓ મજબૂરીવશ મેદાને ચડ્યા છે. આવા ઐતિહાસિક આંદોલનોમાં વિદ્યાર્થીઓ ફળો મહત્વનો રહ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓએ આગળ આવવું પડશે.



સામન્ય રીતે રાજકારણથી અગળા રહેતા અને ક્યાંક સરકારની હા..માં હા...ભરતા ગુજરાતી યુવકો હવે મેદાને ચડ્યા છે. સરકારી પરીક્ષાઓ જે કૌભાંડો થયા છે એ મહેનતું વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખતરો છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી આ જૂવાળ હતો જે હવે બહાર આવ્યો છે. વાક સરકારનો છે, કારણ કે પરીક્ષામાં થતો ભ્રષ્ટાચાર અને લાગવાગીયાઓના સંતોનોનું કલ્યાણ સરકાર રોકી શકી નથી. જેથી મહેનતું વિદ્યાર્થીઓને મોટું નુકશાન થયું છે.

એક વિદ્યાર્થીના દિલની વાત કરીએ તો સમજાય કે, સરકારી પરીક્ષાઓની તૈયારી કેવી રીતે થાય છે. મને યાદ જ્યારે એક સમયે હું પણ GPSCના ભૂતને માથે લઈ સતત રાત-દિ એક કરી ફરતો હતો અને સળવારે તો મળ્યું શૂન્ય. અમારા શિક્ષકો અમને કહેતાં તનતોડ મહેનત કર, માતા-પિતા હંમેશા ગર્વ રહેતો કે છોકરો તૈયારી કરે છે, પણ જ્યારે પરીક્ષાની ઘડીઓ આવતી ત્યારે અમારી તનતોડ મહેનત આગળ લાગવગીયાઓના ઠોઠ છોરા 15-20-25 લાખમાં અધિકારી બની ગયાં.

રાત-દિ એક કરી મહેનત કરતું આ યુવાધન આજે કલાકો સુધી રસ્તા પર આવી ગયું છે, એની પાછળનું સૌથી મોટું કારણ નબળી સરકાર જ છે. સાહેબ આપણને જે ગુજરાતી ભાષા પર ગર્વ છે એ ગુજરાતી ભાષાના પેપરમાં અઢળક વિદ્યાર્થીઓ ફેલ થાય છે. આજે ગણ ગામડાંની શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચતા નથી આવડતું. આ બીજા કોઈ નહીં આપણા પનોતા પુત્ર વડાપ્રધાન મોદીની જ દેન છે. એમના સમયમાં છોકરુ શાળામાં હાજર રહ્યું હોય કે, ન રહ્યું હોય.....એને પાસ જ કરવાનું. ગુણોત્સવની મસ મોટી ફોગટી ઈવેન્ટ ઉભી કરી શિક્ષણના ધજારગા ઉડાવી દીધા અને પછી મોદીના ગુજરાત મોડેલની ધૂરા રૂપાણી સાહેબના હાથમાં આવી. ભાષણમાં "મારૂ એવું માનવું છે કે" એમ કહી લોકોને પારણે મનાવનારા વિજયભાઈ સંતાકુકડીના દૂધપાકી સાબિત થયા છે.

Tuesday, November 26, 2019

પટકથાની ટીકાઃ 'હેલ્લારો'માં કચ્છ કેટલું?

‘હેલ્લારો’ ભારતની બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતીને પહેલા જ બાજી મારી ગઈ છે. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં, હવે ફાઈનલી ફિલ્મ પડદા પર આવી ગઈ. ફિલ્મ રિલીઝ થઈ ત્યાર બાદ ખાસ અમદાવાદમાં લોકોએ બહુ વખાણ કર્યા હતા. એટલે આજે વખાણ નઈ પણ થોડીક વાસ્તવિક વાતો કરવી છે. જેવી રીતે ગુજરાતી સિનેમામાં દેશ રે જોયાને દાદા પર દેશ જોયા...અને એ વખતની કેટલીક ફિલ્મો આજે પણ અલગ મહત્વ ધરાવે છે, જ્યાં આજની અર્બન ફિલ્મો પણ એ જગ્યા લઈ શકી નથી. અણગમો હોવા છતાં ગુજરાતી સિનેમામાં વિક્રમ ઠાકોર અને એની ભાષાએ ગુજરાતી ફિલ્મ જગતને આગળ વધાર્યું. આ ફિલ્મમાં વખાણવા લાયક તો સૌમ્ય જોશીના શબ્દો અને આદિત્ય ગઢવીનો અવાજ જ છે. જે કર્ણપ્રિય બનાવે છે.



આ ફિલ્મની સ્ટોરી સારી પણ પડદા પર મૂળ સ્ટોરી ઉપસી આવતી નથી. હા ફિલ્મના ડાયલોગ્સ હૃદયમાં સોંસરવા ઉતરી જશે. એમાં પણ મંજરીના કેટલાક ડાયલોગ...ફિલ્મમાં સૌથી સારુ કંઈ લાગ્યું તો એ માત્રને માત્ર તેના ગીત. બેકગ્રાઉન્ડમાં વાગતું ગીત ‘માંગી લેજે સપના વિનાની ખાલી રાત’ થિયેટરના સાઉન્ડથી રૂવાડા ઉભા કરી દે છે. ભૂમિ ત્રિવેદી અને એશ્વર્યા એ પણ મજા કરાવી છે. ત્રણેય ગીતો આગામી દિવસોમાં (જ્યાં ગરબાની રમઝટ હશે ત્યાં) લોકમૂખે રહેશે.

ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં કચ્છની પૃષ્ઠભૂમિ છે. જેનું સૌંદર્ય પણ ઉડીને આંખે વળગે એવું છે, પણ કચ્છને મેં જેટલું જોયું છે, વાચ્યું છે એવું કચ્છ મને ન જ દેખાયું. જેવું કે, કચ્છી લોક-સંસ્કૃતિ અને પરંપરા. આ પરથી એવું લાગે છે કે, ફિલ્મ બનાવનારાઓએ પુરતો કચ્છી અભ્યાસ કર્યો નથી. પ્રેમજી ફિલ્મમાં કચ્છનું નિરૂપણ છે એ કદાચ હેલ્લારો કરતા સારુ છે. જેમાં કચ્છી રહેણી-કહેણી કદાચ થોડી વાસ્તવિક લાગે છે. બીજી વાત કચ્છમાં ફિલ્મ બને છે અને તમે કચ્છી કહાની જ બતાવવાના છો તો એ માત્ર 8-10 ભૂંગા સુધી સીમિત ન હોઈ શકે. ભલે ફિલ્મમાં એક ગામની જ કહાની હોય. જે ભૂંગા બનાવવામાં આવ્યાં છે. એ એક ગામ નહીં પણ મહોલ્લો લાગે છે. કહાની બહુ જૂની છે પણ કચ્છી ભૂગાં આધુનિક લાગે છે...ફિલ્મ જોયા બાદ લાગે છે કે ભૂંગા હમણાં જ બનાવાયા છે. જો કે, ભૂંગા બનાવવામાં જે મહિલાઓને રોજગારી મળી હશે એ મારા માટે પોઝિટીવ વાત છે.

આખી ફિલ્મ કચ્છની છે પણ તમે કોઈ કચ્છીભાષી પાત્ર રાખ્યું નથી...ક્યાંય કચ્છી તળપદી ભાષા કે શબ્દો ન સાંભળવા મળ્યા. કહાની બહુ જૂની છે, પણ ભાષા આધુનિક અમદાવાદી લાગે છે. જે ગ્રાઉન્ડ રિયાલિટીથી દૂર છે. ફિલ્મની રીતે ફિલ્મ સારી છે. અભિનય, કેમેરાનો ભરપુર ઉપયોગ થયો છે. ફિલ્મમાં સ્ત્રી અભિવ્યક્તિઓની બારીકાઈ છે, પણ અભિનેત્રીઓમાં કચ્છી મહિલાઓનો રૂઆબ કે હૂંફ જોવા મળતી નથી. એક હકીકતની વાત કરીએ તો ફિલ્મ બનાવનારે ભલે કાલ્પનિકતાની વાતો કરી રસ્તા શોધ્યા હોય પણ ફિલ્મ જોયા બાદ લોકમાનસ પર આ સ્ટોરી સત્ય ઘટના રૂપે જ ઉપસી આવે છે. જેથી કચ્છી લોકજીવન વિશે આજનો યુવાન ગેરમાર્ગે દોરાય છે. ફિલ્મમાં 13 એક્ટ્રેસને એક જ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી એનું ગર્વ છે. બોલિવૂડમાં એવું ઘણીવાર બન્યું છે કે, ઘણાં બધા એવોર્ડ એક અભિનેત્રીને મળ્યો હોય, પણ કદાચ હેલ્લારો ભારતની પહેલી એવી ફિલ્મ છે. જેમાં એક એવોર્ડ 13 અભિનેત્રીઓને મળ્યો છે.

પુરુષપ્રધાન સમાજમાં રહેતી 13 નાયીકાઓના સ્વપ્ન રૂપે શ્રદ્ધા ડાંગર એટલે કે ફિલ્મની મંજરી ફિલ્મમાં બાંધી રાખે છે. તમામ એક્ટ્રેસિસે અભિનયમાં જીવ રેડ્યો છે. મૂળજી (જયેશ મોરે) અને ભગલો (મૌલિક નાયક)નો અભિનય પણ મજાનો છે. મૌલિકે પોતાનો અભિનય જાળવી રાખ્યો છે. ક્યાંય ઢોંગ કરતો દેખાતો નથી. ફિલ્મમાં ડાયલોગ્સના જોરદાર પંચ છે, પણ સમગ્ર ફિલ્મ દરમ્યાન બધાજ પંચ વિસરાઈ જાય છે. મને લાગે છે કે, એક સાથે ઘણા બધા પંચ દર્શકો પર હાવી થઈ જાય છે. જ્યારે ઢોલી ચાલ્યો જાય છે ત્યારે તમામ નાયીકાઓ જાણે સંતાકુકડી રમતી હોય એવી રીતે શોધતી નજરે પડે છે. લાસ્ટમાં ફિલ્મનો એન્ડ એવી રીતે થયો કે સમજાયું જ નહીં. મને લાગે છે કે, ફિલ્મમાં દેશી ઢોલનું સંગીત હોત તો ફિલ્મ કચ્છી લાગત...

- કલ્પેશ તારા

(આ લખાણ ફિલ્મ જોયા બાદના મારા પોતાના વિચારોનું છે, કોઈએ બંદબેસતી પાઘડી પહેરવી નહીં.)

જાણીતા કચ્છી લેખક માવજી માહેશ્વરીના અનેક સવાલ

જાણીતા કચ્છી લેખક માવજી માહેશ્વરી મિર્ચ મસાલા અને રુદાલી ફિલ્મને યાદ કરતા કહે છે, હેલ્લારોમાં પુરુષોને જે રીતે ક્રૂર બતાવાયા છે, એવા ક્રૂર પુરુષો ન તો કચ્છમાં હતા કે તો છે. અહીં ઢોલ સ્ત્રીઓની સ્વતંત્રતાનું પ્રતિક બને છે. એવી જ રીતે લોકરાસની ઓળખ પણ સ્ત્રી જ છે. લોકરાસ સ્ત્રીઓ વગર અધૂરા છે, તો એવું કેવી રીતે બને કે ગુજરાતના જ કોઈ વિસ્તારમાં સ્ત્રીઓને ગરબા રમવા ઉપર પ્રતિબંધ હોય? કચ્છીઓ ભલે એમ માનીને હરખાયા કે આ ફિલ્મ કચ્છના કેન્દ્રમાં છે, પરંતુ આખી વાહ વાહીમાં કોઈને એ ન દેખાયું ફિલ્મનું ચિત્રીકરણ જે ભૂમિ ઉપર થયું છે તે સાવ ખોટું છે.

માવજી કાકા વધુમાં કહે છે, પટકથાના લેખકે જે મુદ્દો ઉપસાવ્યો છે એ માટે ગુજરાત કે કચ્છની ભૂમિ કોઈ રીતે યોગ્ય નથી. જોકે નિર્માતા, નિર્દેશક કે લેખક એમ કહીને છૂટી જાય કે આ તો કાલ્પનિક ઘટના છે. નિર્માતા કે નિર્દેશક ભલે નકારતા હોય, છતાં એ સત્ય છે કે ફિલ્મની પટકથા રાપરના વ્રજવાણી ગામના ભૂતકાળમાં બનેલી ઘટનાના વિચારબીજ ઉપર જ રચાયેલી છે. આ ઘટનાનો ઉલ્લેખ રઘુવીર ચૌધરીની નવલકથા અમૃતામાં પણ છે. આ કહાનીનું સૌથી પહેલું લખાણ કચ્છી સાહિત્યકાર દુલેરાય કારાણીના સાહિત્યમાં નોંધાયેલું છે.

કાકા કહે છે, આ ફિલ્મને વ્રજવાણીની કથા સાથે ન જોડીએ તોય, આ ફિલ્મ બનાવવામાં જોડાયેલા લોકો કચ્છથી અપરિચિત હોય એવું દેખાઈ આવે છે. અભિનેતાઓને પહેરાવવામાં આવેલા કપડાં કચ્છના નથી. કચ્છના પુરુષો ક્યારેય માથા પર લાલ પાઘડી પહેરતા નહોતા. ઘરેણાં અને લોકનૃત્ય પણ કચ્છના નથી. નવરાત્રીના પહેલા દિવસે પુરુષોનું જે લોકનૃત્ય રજુ કરાયું છે તે તરણેતરના મેળામાં રજુ થતા પુરુષોનું લોકનૃત્ય છે. ગીરમાં જેને નેસ કહે છે એને કચ્છમાં વાંઢ કહે છે. એ વાંઢોમાં માણસો કરતાં અનેકગણા પશુઓ હોય છે. હેલ્લારોની વાંઢોમાં પશુઓ જ અદશ્ય છે. જો કે, નિર્દેશકે બેકગ્રાઉન્ડમાં પશુના અવાજ મૂકીને સંતોષ માન્યો છે.

૧૯૭૫ની આસપાસ આખાય કચ્છમાં રાજ્ય પરિવહન નિગમની બસ અંતરિયાળ વિસ્તારો સુધી જતી હતી. એમાના કેટલાક રૂટ તો આજે પણ ચાલે છે. શું ૧૯૭૫માં કચ્છનો વાગડ વિસ્તાર એટલો પછાત હતો કે ભૂજ જવા માટે ઘોડાથી જવું પડે? અને રણમાં રહેતો માણસ ઘોડો પાળે કે ઊંટ? વળી કચ્છમાં ક્ષત્રિયોને બાદ કરતા સવારી માટે ઘોડાનો ઉપયોગ કરનારા જૂજ લોકો હતા. ફિલ્મમાં દેખાતું પુરુષોનું મધ્યયુગીન ક્રૂર માનસ કચ્છના પુરુષોમાં ક્યારેય નથી રહ્યું. આ માટે જ કચ્છના જનમાનસની રગ જાણવા માટે ખાસ્સા અભ્યાસની જરુર પડે, અહીં ધામા નાખીને રહેવું પડે. એટલે જો આ ફિલ્મ કચ્છ ઉપર બનાવાઈ હોવાનું કહેવાતું હોય તો કચ્છી માડુઓએ ઝાઝા હરખાવાની જરુર નથી.

(સંપાદન- માવજી માહેશ્વરીના 14 Nov.2019, Mid-day Gujaratiમાં છપાયેલ લેખમાંથી)

Saturday, July 27, 2019

ટિકટોકના વીડિયો પર આટલો શોર શાનો?, પહેલા પોલીસકર્મીની આત્મહત્યાના કારણો શોધો


 મહેસાણામાં પોલીસનો ટિક-ટોકનો વીડિયો સામે આવ્યા બાદ અમદાવાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશનના એક મહિલાએ પોલીસ યુનિફોર્મમાં ટિક-ટોક વીડિયો વાયરલ થયો છે. આ મામલે મહિલા ક્રાઇમ બ્રાંચના તપાસ કરી રહ્યાં છે. મહેસાણાની એક મહિલા પોલીસકર્મીનો ટિક-ટોક વીડિયો વાયરલ થયા બાદ સતત આવા બનાવો સામે આવી રહ્યા છે. આ વીડિયોમાં ફિલ્મી ડાયલોગ, વિવિધ ગીત સહિતના રમૂજી વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસમાં કામ કરતા કર્મચારીઓને આવા વીડિયોની લત લાગી છે. આ જ કડીમાં કેટલાક પોલીસ કર્મીઓએ ખાખી વર્દીમાં સજ્જ થઈને ટિકટોક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકી દીધા હતા.


ફરજ પર આવા વીડિયો બનાવવા ગેરકાયદેસર છે અને આવું કરનાર સામે કાર્યવાહી પણ થવી જોઈએ. સામાન્ય સંજોગોની વાત જુદી છે, પરંતુ યુનિફોર્મ સાથે અને યુનિફોર્મ વગર પોલીસ સ્ટેશનમાંથી આવા ટિક-ટોકમાં વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવે એ પોલીસ વિભાગ માટે ગંભીર બાબત છે, પરંતુ આવા વીડિયો સામે આવ્યાં બાદ આપણા મીડિયાએ વધુ પડતું કવરેજ કર્યું છે. જે ખરેખર નહોતું જરૂરી. આવા વીડિયો સામે આવ્યાં ત્યારે મીડિયાને એક-બે પોલીસકર્મીને લીધે સમગ્ર પોલીસ વિભાગ વિશે લોકમાં ખરાબ દ્રષ્ટિ પેદા થઈ છે. જે રાત-દિવસ આપણી સુરક્ષા માટે ખડે ભગે રહેનાર પોલીસ જવાન માટે ઘાતક છે.

હવે આપણી સુરક્ષા માટે ઉભા રહેતા પોલીસના હ્રદયની વાત, આપણને બધાને યાદ જ હશે કે, છેલ્લા કેટલાય સમયથી ગુજરાત પોલીસના કર્મચારીઓ ફરજ પર કે ફરજ બાદ આત્મહત્યા કરી રહ્યાં છે. શું આપણે બધાએ આ મુદ્દે કોઈ ચર્ચાઓ કરી ખરી? કેટલાય પોલીસકર્મીઓેએ આત્મહત્યાની સુસાઈડ નોટમાં કામનું પ્રેશર અને ઉપરી અધિકારીઓના ટ્રોર્ચરની વાત કરી, શું આપણે આ અંગે કોઈ રિપોર્ટ કર્યો ખરો?

પોલીસની કામગીરી પર સવાલ કરતા પહેલા અમદાવાદની નવરાત્રી યાદ કરો. ખેલૈયાઓ ગરબા રમીને ઘરે જઈ આરામથી સૂઈ ન જાય ત્યાં સુધી આ લોકો ડ્યુટી કરે છે. તેમ છતાં લોકો દુશ્મન જ માને છે. સાહેબ પોલીસની વ્યથા એ છે કે, લોકોની સુરક્ષા, ગુના રોકવા અને ટ્રાફિક રોકવા સિવાય પણ આ લોકો અનેક જવાબદારીઓ સંભાળે છે. આ બધી જવાબદારી વચ્ચે ઉપરી અધિકારીનું ટ્રોર્ચર તો ખરું જ. આમ, આપણી ફરિયાદો તો પોલીસ સાંભળે છે, પણ પોલીસની ફરિયાદો કોઈએ સાંભળી ખરી? અરે એ પોલીસને પુછો કે, બાળકો અને પત્નીને કેટલો સમય આપો છો?



છેલ્લો સીનઃ ટિકટોકના વીડિયો પર શોર મચાવતા પહેલા પોલીસકર્મીની આત્મહત્યાના કારણો શોધો

Monday, July 8, 2019

આદિવાસીઓની "ચડોતરુ પરંપરા", અન્યાય-બદલાની ભાવના...

એક ગામમાં છેલ્લા આઠ મહિનાથી એક યુવકનો મૃતદેહ વૃક્ષ પર લટકાવી રાખવામાં આવ્યો હોય અને આ યુવકની લાશના કોઈ શાસ્ત્રોક્ત અંતિમ સંસ્કાર ન થયાં હોય એવું સાંભળ્યું છે? એક પરિવાર ન્યાય મેળવવાની લડત માટે અનેક માહિના સુધી નહીં પણ વર્ષો સુધી જંગે ચડે છે, જ્યાં સુધી ન્યાય ન મળે, ત્યાં સુધી મૃતદેહ ઝાડ સાથે કે ગામના પાદરે લટકાવી રાખે છે. જી...હા...આજે આપણે એક એવી પરંપરાની વાત કરીશું જ્યાં સદીઓથી ચાલી આવતી પરંપરાને નામે લોકો માનવતાની મહાનતા છોડીને વિચાર્યા ન હોય એવા કૃત્યો કરે છે.


આ વિસ્તારમાં ચડોતરુ પરંપરા
આજે આપણે સાબરકાંઠામાં ખેડબ્રહ્મા નજીક આવેલા પોશીના વિસ્તારની ચડોતરુ પરંપરા વિશે વાત કરીશું. હાલમાં એક ટાઢીવેડી ગામે છેલ્લા 8 મહિનાથી મૃતદેહ અન્યાય સામે લડત આપી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, અહીં ખેડબ્રહ્માના આંજણી ગામે કામ કરતા એક યુવકની આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. આ ઘટના અંગે પોલીસનું કહે છે કે, સમગ્ર ઘટના આત્મહત્યાની છે, પરંતુ પરિવારજનોનો આક્ષેપ કરી રહ્યાં છે કે, યુવકની હત્યા થઈ છે. આમ, પરિવારના લોકોએ પોતાની સાથે અન્યાય થયો છે. એ વાત પર ભાર મુકી ન્યાય મેળવવા છેલ્લા 8 માસથી લાશને લટકાવી રાખી છે. સ્થાનિક ભાષામાં આવી મૃતદેહ લટકાવી રાખવાની ઘટનાઓને 'ચડોતરુ' કહેવામાં આવે છે. કહેવાય છે કે, આવું વારસાગત રીતે ચાલી આવ્યું છે. જેથી લોકોએ આને પરંપરા માની લીધી છે. ચડોતરુ કરી અહીંના લોકો ન્યાય મેળવવાની ખોટી જીદ કરી છે. આ બાબતે સ્થાનિક પોલીસ લાશનો પોસ્ટમોર્ટમ કરે તો પણ અહીંના લોકો પોતાની જીદ છોડતા નથી. આવી ઘટનાઓ ગુજરાતના ખાસ એક વિસ્તારમાં બને છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના વિસ્તારમાં બને છે. આ વિસ્તાર ગુજરાત-રાજસ્થાન બોર્ડરથી 2 કિમી દૂર છે.

મજાની વાત એ હોય છે કે, મૃત વ્યક્તિના સગાંસંબંધીઓ દુઃખ વ્યક્ત કરવાને બદલે અભિમાન સાથે લાશને ઝાડ પર લટકાવી રાખે છે અને નોર્મલ લાઈફ જીવતા હોય છે. તાજેતરની ઘટના પહેલા પણ પોશીનામાં એક ઘટના બની હતી. જેમાં એક લાશ 22 વર્ષ સુધી એક ઝાડ સાથે લટકી રહી હતી. આવું પરંપરાગત રીતે ચાલે છે. જેને 'ચડોતરુ' કહેવામાં આવે છે. આ પરંપરા સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, વડાલી અને વિજયનગર અને ભિલોડા સહિતના આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. આમ, તો લોકો આને ન્યાય માગવાનો રસ્તો ગણે છે, પણ ખરા અર્થમાં આ એક બદલો લેવાની પરંપરા છે. જે પેઢીઓથી ચાલી આવી છે. જોકે, હવે આ પરંપરાને સામુદાયીક મોભા સાથે સરખાવવામાં આવી રહી છે.



ચડોતરાની શરૂઆત
ચડોતરાની શરૂઆત એવી રીતે થાય છે કે, જ્યારે એક પક્ષ બીજા પક્ષને આરોપી જાહેર કરે છે, ત્યારબાદ બંને પરિવાર સમાધાન માટે સમુદાય (પંચ)ના વૃદ્ધોની પાસે જાય છે. જો સમાધાન થયું તો વળતરમાં મળતા 10 ટકા પૈસા વૃદ્ધો લઈ લે છે. અહીં બીજી એક વાત ધ્યાનમાં રાખવામાં આવી છે કે, વળતરના પૈસા સામેના પક્ષની આર્થિક ક્ષમતા અને સામાજિક મોભાને આધારે નક્કી થાય છે. વતતર માટે મોટાભાગે 50-80 લાખ રૂપિયાની શરૂઆતી માગ હોય છે. જે અંતે તો 5-6 લાખ રૂપિયા સુધી આવી જાય છે. આ સિવાય સામધાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વળતરની રકમમાંથી જ ગોળ ખરીદાય છે, જે લોકોમાં વહેંચવામાં આવે છે. આ પરંપરા સૌથી વધુ ડુંગરી ગરાસિયા ભીલ આદિવાસીઓમાં પ્રચલિત છે. આ લોકો કાયદાકીય કાર્યવાહી કરતા પણ પરંપરાને વધુ પંસંદ કરે છે. આવું સૌથી વધુ પ્રેમ સંબંધોને કારણે થાય છે. આ પરંપરામાં કોઈનું અપ્રાકૃતિક મૃત્યુ થાય, જેમાં હત્યાની આશંકા હોય. એવા સંજોગામાં વળતરની માગ કરવામાં આવે છે. જે પૈસા પેટે કે મોત સામે મોતની હોય છે. અહીં બીજી એક વાસ્તવિકતા જાણવી જરૂરી છે કે, જો કોઈ વળતર પેટે પૈસા આપે તો એક પીડિત પરિવાર અને સમુદાયના આગળ પળતા નેતાઓમાં વહેંચી દેવામાં આવે છે. હવે એક વાત સાબિત થાય છે કે, આ પરંપરા માટે પરિવારજનો તૈયાર ન હોય તો પણ તેમને ઉકસાવવામાં આવે છે અને એ પણ માત્ર પૈસા માટે જ. આવા સામુદાયીક નેતાઓ ભોળા લોકોમાં ઝેર ભરે છે. અંતે આવી પરંપરાનો જન્મ થાય છે. આવી ઘટનાઓ ખુબ જ આંતરિયાળ અને સુમસામ વિસ્તારમાં વધુ જોવા મળે છે.



તો શું લોકો બદલાયા નથી?
આટલું વાચ્યાં પછી એવું ચોક્કસ થાય કે, આ લોકો બદલાયા નથી? હા બદલાયા છે, પણ ક્યાંક સામુદાયીક નેતાઓને પૈસાની ભૂખ છે, તો ક્યાંક દારૂ પીવા પૈસા ન હોય તો આવી પરંપરાઓ જન્મ લે છે. જોકે, લોકો તો આ ઝંજાળમાંથી નીકળવા જ માંગે છે. આદિવાસી લોકોમાં આજે પણ એવી પરંપરાઓ ચાલી આવી રહી છે. જે વિચિત્ર છે. જેમકે આપણે ત્યાં લિવ-ઈન-રિલેશનશીપની વિભાવના થોડાંક સમય પહેલા જ આવી પરંતુ આદિવાસી લોકોમાં આ પરંપરા ક્યારથીય ચાલી રહી છે. આજે પણ દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં 5-8 બાળકો બાદ સ્ત્રી-પુરુષ લગ્ન કરે છે. બીજી એક બહુપત્નીત્વ પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ બધુ આપણા માટે જ નવું છે, પણ ત્યાંના લોકો માટે આમાં કોઈ નવાઈ છે જ નહીં. આમ તો સ્થાનિક આદિવાસી લોકો માયાળું હોય છે, પણ જો કોઈ ભૂલ થઈ જાય તો એનું પરિણામ બહુ વિચિત્ર આવે છે. દેવી-દેવતાઓમાં વધુ માનનારી આ પ્રજા દેવને ખુશ કરવા કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. જો કોઈ દેવ વિરોધી કૃત્ય કરે તો પરિણામો બહુ ખરાબ આવે છે. અહીંના લોકો આંખો બંધ કરીને લોકોને જીવતા સળગાવી દે, મારી નાંખે છે, બલી ચડાવી દે છે. જો કોઈ છોકરાને આદિવાસી છોકરી સાથે પ્રેમ થઈ જાય તો છોકરીનો ભાઈ કે માતા-પિતા હોંશે હોંશે લગ્ન કરાવે છે, પરંતુ જો કોઈ પરણીત સ્ત્રી સાથે પ્રેમની વાત પણ જાણવા મળે તો લોકો તીર કામઠાંથી જીવતા માણસને વીંધી નાખે છે.

તો પોલીસ શું કરે છે?
આવું વારસાગત રીતે ચાલી આવતું હોવાથી લોકોએ પરંપરા માની લીધી છે. જોકે, ચડોતરુ કરી અહીંના લોકો ન્યાય મેળવવાની જીદ કરી છે. ખરેખર એ ખોટું છે, પરંતુ ત્યાંના અભણ લોકોને એ બાબતનું પણ ધ્યાન છે કે, પોલીસ કે કોર્ટથી ન્યાય મળવામાં 'તારીખ પે તારીખ' મળતી રહેશે, થશે કંઈ નહીં. જોકે, પોલીસ લાશનો પોસ્ટમોર્ટમ કરે અને સાચુ કારણ બહાર લાવે તો પણ અહીંના લોકો પોતાની જીદ છોડતા નથી. અહીંના લોકોનું કહેવું છે કે, આ અમારી સમસ્યા છે, તમે દૂર રહો નહીંતર તમે પણ શિકાર થઈ જશો. બીજી તરફ પોલીસ કાર્યવાહી કરવા જાય તો આખુ ગામ પોલીસ પર હુમલો કરે છે. જેથી ટોળા વિરૂદ્ધ કોઈ કેસ પણ નોંધાતો નથી. અહીં જતા પોલીસ પણ ડરે છે. સામાજિક જાગૃતિ માટે કેટલીય સંસ્થાઓ કામ કરે છે, પરંતુ એ લોકો પણ સ્થાનિક પરંપરા વિરૂદ્ધ જવા માંગતા નથી. એકંદરે ન્યાય મેળવવાની આ જીત ખોટી છે.

નોંધ:- આ પરંપરા વિશે એક ગુજરાતી "અમુ આદિવાસી" નામની ફિલ્મ રિલીઝ થઈ છે. જેમાં પ્રેમ પ્રકરણ મુદ્દે 'ચડોતરુ' પરંપરાની વાત કરવામાં આવી છે.