Monday, July 8, 2019

આદિવાસીઓની "ચડોતરુ પરંપરા", અન્યાય-બદલાની ભાવના...

એક ગામમાં છેલ્લા આઠ મહિનાથી એક યુવકનો મૃતદેહ વૃક્ષ પર લટકાવી રાખવામાં આવ્યો હોય અને આ યુવકની લાશના કોઈ શાસ્ત્રોક્ત અંતિમ સંસ્કાર ન થયાં હોય એવું સાંભળ્યું છે? એક પરિવાર ન્યાય મેળવવાની લડત માટે અનેક માહિના સુધી નહીં પણ વર્ષો સુધી જંગે ચડે છે, જ્યાં સુધી ન્યાય ન મળે, ત્યાં સુધી મૃતદેહ ઝાડ સાથે કે ગામના પાદરે લટકાવી રાખે છે. જી...હા...આજે આપણે એક એવી પરંપરાની વાત કરીશું જ્યાં સદીઓથી ચાલી આવતી પરંપરાને નામે લોકો માનવતાની મહાનતા છોડીને વિચાર્યા ન હોય એવા કૃત્યો કરે છે.


આ વિસ્તારમાં ચડોતરુ પરંપરા
આજે આપણે સાબરકાંઠામાં ખેડબ્રહ્મા નજીક આવેલા પોશીના વિસ્તારની ચડોતરુ પરંપરા વિશે વાત કરીશું. હાલમાં એક ટાઢીવેડી ગામે છેલ્લા 8 મહિનાથી મૃતદેહ અન્યાય સામે લડત આપી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, અહીં ખેડબ્રહ્માના આંજણી ગામે કામ કરતા એક યુવકની આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. આ ઘટના અંગે પોલીસનું કહે છે કે, સમગ્ર ઘટના આત્મહત્યાની છે, પરંતુ પરિવારજનોનો આક્ષેપ કરી રહ્યાં છે કે, યુવકની હત્યા થઈ છે. આમ, પરિવારના લોકોએ પોતાની સાથે અન્યાય થયો છે. એ વાત પર ભાર મુકી ન્યાય મેળવવા છેલ્લા 8 માસથી લાશને લટકાવી રાખી છે. સ્થાનિક ભાષામાં આવી મૃતદેહ લટકાવી રાખવાની ઘટનાઓને 'ચડોતરુ' કહેવામાં આવે છે. કહેવાય છે કે, આવું વારસાગત રીતે ચાલી આવ્યું છે. જેથી લોકોએ આને પરંપરા માની લીધી છે. ચડોતરુ કરી અહીંના લોકો ન્યાય મેળવવાની ખોટી જીદ કરી છે. આ બાબતે સ્થાનિક પોલીસ લાશનો પોસ્ટમોર્ટમ કરે તો પણ અહીંના લોકો પોતાની જીદ છોડતા નથી. આવી ઘટનાઓ ગુજરાતના ખાસ એક વિસ્તારમાં બને છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના વિસ્તારમાં બને છે. આ વિસ્તાર ગુજરાત-રાજસ્થાન બોર્ડરથી 2 કિમી દૂર છે.

મજાની વાત એ હોય છે કે, મૃત વ્યક્તિના સગાંસંબંધીઓ દુઃખ વ્યક્ત કરવાને બદલે અભિમાન સાથે લાશને ઝાડ પર લટકાવી રાખે છે અને નોર્મલ લાઈફ જીવતા હોય છે. તાજેતરની ઘટના પહેલા પણ પોશીનામાં એક ઘટના બની હતી. જેમાં એક લાશ 22 વર્ષ સુધી એક ઝાડ સાથે લટકી રહી હતી. આવું પરંપરાગત રીતે ચાલે છે. જેને 'ચડોતરુ' કહેવામાં આવે છે. આ પરંપરા સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, વડાલી અને વિજયનગર અને ભિલોડા સહિતના આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. આમ, તો લોકો આને ન્યાય માગવાનો રસ્તો ગણે છે, પણ ખરા અર્થમાં આ એક બદલો લેવાની પરંપરા છે. જે પેઢીઓથી ચાલી આવી છે. જોકે, હવે આ પરંપરાને સામુદાયીક મોભા સાથે સરખાવવામાં આવી રહી છે.



ચડોતરાની શરૂઆત
ચડોતરાની શરૂઆત એવી રીતે થાય છે કે, જ્યારે એક પક્ષ બીજા પક્ષને આરોપી જાહેર કરે છે, ત્યારબાદ બંને પરિવાર સમાધાન માટે સમુદાય (પંચ)ના વૃદ્ધોની પાસે જાય છે. જો સમાધાન થયું તો વળતરમાં મળતા 10 ટકા પૈસા વૃદ્ધો લઈ લે છે. અહીં બીજી એક વાત ધ્યાનમાં રાખવામાં આવી છે કે, વળતરના પૈસા સામેના પક્ષની આર્થિક ક્ષમતા અને સામાજિક મોભાને આધારે નક્કી થાય છે. વતતર માટે મોટાભાગે 50-80 લાખ રૂપિયાની શરૂઆતી માગ હોય છે. જે અંતે તો 5-6 લાખ રૂપિયા સુધી આવી જાય છે. આ સિવાય સામધાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વળતરની રકમમાંથી જ ગોળ ખરીદાય છે, જે લોકોમાં વહેંચવામાં આવે છે. આ પરંપરા સૌથી વધુ ડુંગરી ગરાસિયા ભીલ આદિવાસીઓમાં પ્રચલિત છે. આ લોકો કાયદાકીય કાર્યવાહી કરતા પણ પરંપરાને વધુ પંસંદ કરે છે. આવું સૌથી વધુ પ્રેમ સંબંધોને કારણે થાય છે. આ પરંપરામાં કોઈનું અપ્રાકૃતિક મૃત્યુ થાય, જેમાં હત્યાની આશંકા હોય. એવા સંજોગામાં વળતરની માગ કરવામાં આવે છે. જે પૈસા પેટે કે મોત સામે મોતની હોય છે. અહીં બીજી એક વાસ્તવિકતા જાણવી જરૂરી છે કે, જો કોઈ વળતર પેટે પૈસા આપે તો એક પીડિત પરિવાર અને સમુદાયના આગળ પળતા નેતાઓમાં વહેંચી દેવામાં આવે છે. હવે એક વાત સાબિત થાય છે કે, આ પરંપરા માટે પરિવારજનો તૈયાર ન હોય તો પણ તેમને ઉકસાવવામાં આવે છે અને એ પણ માત્ર પૈસા માટે જ. આવા સામુદાયીક નેતાઓ ભોળા લોકોમાં ઝેર ભરે છે. અંતે આવી પરંપરાનો જન્મ થાય છે. આવી ઘટનાઓ ખુબ જ આંતરિયાળ અને સુમસામ વિસ્તારમાં વધુ જોવા મળે છે.



તો શું લોકો બદલાયા નથી?
આટલું વાચ્યાં પછી એવું ચોક્કસ થાય કે, આ લોકો બદલાયા નથી? હા બદલાયા છે, પણ ક્યાંક સામુદાયીક નેતાઓને પૈસાની ભૂખ છે, તો ક્યાંક દારૂ પીવા પૈસા ન હોય તો આવી પરંપરાઓ જન્મ લે છે. જોકે, લોકો તો આ ઝંજાળમાંથી નીકળવા જ માંગે છે. આદિવાસી લોકોમાં આજે પણ એવી પરંપરાઓ ચાલી આવી રહી છે. જે વિચિત્ર છે. જેમકે આપણે ત્યાં લિવ-ઈન-રિલેશનશીપની વિભાવના થોડાંક સમય પહેલા જ આવી પરંતુ આદિવાસી લોકોમાં આ પરંપરા ક્યારથીય ચાલી રહી છે. આજે પણ દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં 5-8 બાળકો બાદ સ્ત્રી-પુરુષ લગ્ન કરે છે. બીજી એક બહુપત્નીત્વ પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ બધુ આપણા માટે જ નવું છે, પણ ત્યાંના લોકો માટે આમાં કોઈ નવાઈ છે જ નહીં. આમ તો સ્થાનિક આદિવાસી લોકો માયાળું હોય છે, પણ જો કોઈ ભૂલ થઈ જાય તો એનું પરિણામ બહુ વિચિત્ર આવે છે. દેવી-દેવતાઓમાં વધુ માનનારી આ પ્રજા દેવને ખુશ કરવા કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. જો કોઈ દેવ વિરોધી કૃત્ય કરે તો પરિણામો બહુ ખરાબ આવે છે. અહીંના લોકો આંખો બંધ કરીને લોકોને જીવતા સળગાવી દે, મારી નાંખે છે, બલી ચડાવી દે છે. જો કોઈ છોકરાને આદિવાસી છોકરી સાથે પ્રેમ થઈ જાય તો છોકરીનો ભાઈ કે માતા-પિતા હોંશે હોંશે લગ્ન કરાવે છે, પરંતુ જો કોઈ પરણીત સ્ત્રી સાથે પ્રેમની વાત પણ જાણવા મળે તો લોકો તીર કામઠાંથી જીવતા માણસને વીંધી નાખે છે.

તો પોલીસ શું કરે છે?
આવું વારસાગત રીતે ચાલી આવતું હોવાથી લોકોએ પરંપરા માની લીધી છે. જોકે, ચડોતરુ કરી અહીંના લોકો ન્યાય મેળવવાની જીદ કરી છે. ખરેખર એ ખોટું છે, પરંતુ ત્યાંના અભણ લોકોને એ બાબતનું પણ ધ્યાન છે કે, પોલીસ કે કોર્ટથી ન્યાય મળવામાં 'તારીખ પે તારીખ' મળતી રહેશે, થશે કંઈ નહીં. જોકે, પોલીસ લાશનો પોસ્ટમોર્ટમ કરે અને સાચુ કારણ બહાર લાવે તો પણ અહીંના લોકો પોતાની જીદ છોડતા નથી. અહીંના લોકોનું કહેવું છે કે, આ અમારી સમસ્યા છે, તમે દૂર રહો નહીંતર તમે પણ શિકાર થઈ જશો. બીજી તરફ પોલીસ કાર્યવાહી કરવા જાય તો આખુ ગામ પોલીસ પર હુમલો કરે છે. જેથી ટોળા વિરૂદ્ધ કોઈ કેસ પણ નોંધાતો નથી. અહીં જતા પોલીસ પણ ડરે છે. સામાજિક જાગૃતિ માટે કેટલીય સંસ્થાઓ કામ કરે છે, પરંતુ એ લોકો પણ સ્થાનિક પરંપરા વિરૂદ્ધ જવા માંગતા નથી. એકંદરે ન્યાય મેળવવાની આ જીત ખોટી છે.

નોંધ:- આ પરંપરા વિશે એક ગુજરાતી "અમુ આદિવાસી" નામની ફિલ્મ રિલીઝ થઈ છે. જેમાં પ્રેમ પ્રકરણ મુદ્દે 'ચડોતરુ' પરંપરાની વાત કરવામાં આવી છે. 

 


No comments:

Post a Comment