Monday, February 17, 2020

ગોધરાકાંડ ફાઈનલ રિપોર્ટ, તાત્કાલીન મોદી સરકાર પર સવાલો કરનાર 3 અધિકારી નકારાત્મક

વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6માં આગ લાગયા બાદ રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં, ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિધાનસભા ગૃહમાં 9 વોલ્યુમ, 2500થી વધુ પેજ અને 44 હજારથી વધુ એફિડેવિટ સાથેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કમિટી દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં થયેલા તોફાનો કોઈ પૂર્વઆયોજિત કાવતરું નહોતું, તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સાથીઓને ક્લીનચીટ અપાઈ છે. ગોધારાકાંડમાં રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓને કોઈ સંડોવણી નથી. આ રિપોર્ટમાં પૂર્વ પ્રધાન હરેન પંડ્યા, ભરત બારોટ અને અશોક ભટ્ટના સંદર્ભમાં જે આક્ષેપ કરાયા હતા. તે તમામને પણ ક્લીનચીટ અપાઈ છે. જો કે, તાપસ પંચના તારણોમાં ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક ગણાઈ છે. જેમાં રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમાર નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યા છે. રિપોર્ટના તારણો વાચ્યાં પછી લાગ્યું કે, આ ત્રણ અધિકારી કોણ છે? ઘણી બધી જગ્યાએ વાચ્યાં પછી લગ્યું કે, આ અધિકારીઓ વિશે વાત કરવી જોઈએ, જી...હા આ એજ અધિકારી છે જેમણે તાત્કાલીન મોદી સરકાર પર સવાલો કર્યા હતાં.

જ્યારે મોદીના 'ગુડમેન' સંજીવે જ મોદીને તોફાનો માટે જવાબદાર ઠેરવ્યા



સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા. જેઓ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા હતાં. ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને હાલ જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે. 2002ના હુલ્લડની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાંવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ સંજીવ ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી હતી. IITમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કેડરના આઈપીએસ હતા. એક સમયે નરેન્દ્ર મોદીના 'ગુડમેન' અધિકારી તરીકે ઓળખાતા સંજીવે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા હતાં. 2011માં સંજીવ ભટ્ટે એક ઍફિડેવિટમાં કહ્યું હતું કે, ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે, હિંદુઓને આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ. જોકે, આ અંગે મોદી સરકારે કહ્યું હતું કે, સંજીવ ભટ્ટ આ બેઠકમાં હાજર જ નહોતા, જેના કોઈ સાક્ષી કે પુરાવા પણ નથી. સતત નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને લઈને ચર્ચામાં રહ્યા હતાં. આમ, સસ્પેન્ડેડ IPS અધિકારી સંજીવ ભટ્ટે પણ કમિશન સમક્ષ ઍફિડેવિટ કરીને નરેન્દ્ર મોદીને તોફાનો માટે જવાબદાર ઠેરવ્યા હતા.

જ્યારે આર.બી. શ્રીકુમારે નાણાંવટી કમિશાન પર સવાલો કર્યા



1971ની બેચના IPS અધિકારી આર.બી. શ્રીકુમાર રાજ્યના ભૂતપૂર્વ પોલીસ વડા રહ્યાં. તેઓએ ગુજરાત રમખાણોના કેસમાં 9 સોગંદનામા દાખલ કર્યા હતા. જ્યારે રાજ્યમાં ગોધરા કાંડની ઘટનાઓ બની હતી ત્યારે શ્રીકુમાર રાજ્યની ગુપ્તચર શાખાના વડા હતા. તેઓએ નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનો ફોન ટેપ કરવાનો આદેશ આપ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આર. બી. શ્રીકુમારે ગુજરાત હાઈકોર્ટમાં એક પીલ દાખલ કરીને નાણાંવટી કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી હતી. નાણાંવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ 25 સપ્ટેમ્બર, 2009ના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર શ્રીકુમારે સવાલો કરતા કહ્યું હતું કે, નિયમને આધારે કોઈ પણ કમિશનનો રિપોર્ટ 6 મહિનાની અંદર વિધાનસભામાં એક્શન ટેકન રિપોર્ટની સાથે રજૂ કરવાનો હોય છે, પરંતુ સરકારે બહુ મોંડુ કર્યું છે. શ્રીકુમારનો આરોપ હતો કે, પીડીતોને આ કમિશનથી ઘણી આશાઓ હતી, પરંતુ લોકોને કંઈ જ મળ્યું નથી. નાણાંવટી કમિશન સમક્ષ આર. બી. શ્રીકુમારે એક સોગંદનામુ રજૂ કર્યું હતું. એ વખતે શ્રીકુમાર ઇન્ટેલિજન્સ બ્યૂરોના ચીફ તરીકે ફરજ બજાવતા હતા અને ત્યારે તેમણે તોફાનોને લગતી માહિતી વિશે સરકારને જાણ કરી હતી.

જ્યારે રાહુલ શર્માએ મોટો પુરાવા તરીકે ફોન-કોલ્સની સીડી રજૂ કરી



રાહુલ શર્મા 1992ની બેચના IPS અધિકારી હતાં. 2002માં થયેલા રમખાણમાં ભાવનગરના DSP તરીકે રાહુલ શર્માએ તોફાનીઓ દેખાય ત્યાં ઠાર મારવાનો આદેશ આપ્યો હતો. જોકે IPS અધિકારી રાહુલ શર્માનો આ આદેશ તત્કાલીન ગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફિયાને પસંદ ન આવ્યો. એટલે શર્માની અમદાવાદમાં બદલી કરી દેવામાં આવી હતી. શર્મા તોફાનમાં માલ-મિલ્કત અથવા માણસ ગુમાવ્યો હોય અને ફરિયાદ ન નોંધાઈ હોય તેવા લોકોને બોલાવી બોલાવીને ફરિયાદ નોંધવા લાગ્યા હતાં. એટલે અમદાવાદ પોલીસ કમિશનરે તેમને કંટ્રોલરૂમમાં ખસેડી ક્રાઈમ બ્રાન્ચની મદદમાં મૂકી દીધા હતા. 2002માં ગુજરાતમાં મોબાઇલ ટેલિફોનની સુવિધા આપતી બે જ કંપનીઓ હતી. રાહુલે આ બંને મોબાઇલ કંપનીઓને કહ્યું હતું કે, 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના તમામ મોબાઈલ ધારકોની કોલ્સ ડિટેઇલ આપો. રાહુલ શર્માને મોબાઇલ કંપની દ્વારા જે કોલ ડિટેઇલ્સ આપવામાં આવી તે એક મોટો પુરાવો સાબિત થવાનો હતો. ગોધરાકાંડની તપાસ કરી રહેલા જસ્ટિસ નાણાંવટી સામેની જુબાનીમાં રાહુલ શર્માએ એ દિવસની ફોન-કોલ્સની સીડી રજૂ કરી હતી. જો કે, નાણાંવટી પંચમાં ગુજરાત સરકારે રાહુલ શર્માની સીડીનો વિરોધ કર્યો હતો, ત્યારે તોફાનની તપાસમાં માટે નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે રાહુલ શર્માની સીડીને પુરાવા રૂપે ગણી હતી, પરંતુ આજે આ ત્રણેય IPS અધિકારીને નકારાત્મ ગણવામાં આવ્યાં છે. આમ, મોદી સરકારના વિરોધી અને સરકાર પર સવાલો કરનાર અધિકારીઓની ભૂમિકા પર હવે સવાલો થઈ રહ્યાં છે.

સંદર્ભ
- ગોધરાકાંડનું અધૂરુ સત્ય, પ્રશાંત દયાળ
- ગુજરાત ફાઈલ્સ, રાના અયુબ
- પદડા પાછળનું ગુજરાત, આર.બી. શ્રીકુમાર

No comments:

Post a Comment