Saturday, May 4, 2019

ગુજરાત સ્થાપના દિન, જાણો આજનું ગુજરાત

જય જય ગરવી ગુજરાત, ઊંચી તુજ સુંદર જાત, ઉત્તરમાં અંબા માં, પૂર્વમાં કાળી માં, તો સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ...જય જય ગરવી ગુજરાત.

ગુજરાત પોતાની સંસ્‍કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ ધરાવે છે. પુરાણોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતું આજનું ગુજરાત ગરવું ગુજરાત બન્યું છે. સમ્રાટ અશોકના શિલાલેખથી લઈ અડીખમ ગિરનારે દરેક ગુજરાતીને ગૌરવ આપ્યો છે. મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતમાં સુવર્ણકાળ કહેવાયો, સોરઠની ચારણ કન્યાનું ખમીર અને નર્મદનો દાંડિયો સામજીક જીવનના પ્રતીક બન્યાં. આ મારું ગુજરાત મહેમાનગતિ, વેપારી, ગુજ્જુ ગરબા અને ગુજરાતી થાળીથી વખણાય છે. એક તરફ 1600 કિમીનો દરિયો તો બીજી તરફ કચ્છનું રણ...


ગુજરાતની મધ્યમાં સાબરમતીના કિનારે વસેલું આશાવલ અને કર્ણાવતી અર્વાચીન યુગમાં અમદાવાદ તરીકે ઓળખાયું. હાલનું અમદવાદ સાબરમતી રિવરફન્ટ અને કાંકરિયા તળાવ માટે જાણીતું છે, તો રંગીલા અને મોજીલા રાજકોટવાસીઓ આજે પણ બપોરે ધંધા-રોજગાર બંધ કરી 2થી 4 મોજથી સુએ છે. 1964-65માં ગુજરાતની નવી રાજધાની તરીકે ગાંધીનગર નવેસરથી વસાવાયું. જે આજે ગ્રીન અને ગીફ્ટમાં પરિવર્તિત થયું છે. ગાયકવાડમાં ગવાયેલું વ્યવહારું વડોદરા હાલ ભાખરવડી અને નવરાત્રિ માટે જાણીતું છે. લોકમાતા નર્મદાની વચોવચ અડિધમ ઉભેલી સરદારની પ્રતિમા, એકતાનું પ્રતીક બની છે, તો સોરઠનો સાવજ અને કાઠીયાવાડી ડાયરો સોરઠીપ્રજાનું થમીર છે. દેશ-દુનિયામાં ગુજરાત અને ગુજરાતી લોકોને માન આપનાર  નરેન્દ્ર મોદી તો કેમ કરી ભૂલાય...

ભૂજિયા ડુંગરની તળેટીમાં આવેલું અને 500 વર્ષ પુરાણું નગર એટલે ભૂજ. વાંકીચૂકી ગલીઓવાળા ભુજમાં કચ્‍છીકલાનો શિખર એટલે આયના મહેલ. ભારતનાં પાંચ સરોવરોનું નારાયણ સરોવર વૈષ્‍ણવધર્મનું યાત્રાધામ છે. માંડવીનો દરિયાકિનારો નયનરમ્‍ય નૈસર્ગિક સૌંદર્ય ધરાવે છે, તો વિજય વિલાસનો વિલાસ ચૌતરફો ફેલાયો છે. 4500 વર્ષ જૂનું ધોળાવીરા એક સમયે ભવ્‍ય નગર હતું, તો સતત વ્યસ્ત કંડલા બંદર, કચ્‍છનું અર્વાચીન બંદર કહેવાયું છે. મચ્‍છુ હોનારતથી હેરાન થયેલું મોરબી આજે ઘડિયાળ અને ટાઇલ્સથી જાણીતું બન્યું છે.

સોરઠના દરિયાકિનારે આવેલું પોરબંદર, મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ અને કૃષ્ણભક્ત સુદામાની કર્મભૂમિ કહેવાય છે. ગિરનારની છાયામાં વિસ્‍તરેલું નગર જૂનાગઢ, એક સમયે ભક્ત નરસિંહ મહેતાની નગરી ગણાતું હતું. 600 મીટરની ઊંચાઈ ધરાવતા ગિરનાર સુધી પહોંચવા દસ હજાર પગથિયાં ચડવાં પડે છે. ગીરની તળેટીથી સમુદ્ર સુધી વિસ્‍તરેલું સાસણ-ગીરનું જંગલ સિંહો માટે જાણીતું બન્યું છે. ભારતના પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. દરિયાકિનારે આવેલું સોમનાથ 17 વખત લૂંટાયું અને બંધાતું રહ્યું. 1950માં સોમનાથ કામ શરૂ કરવામાં સરદાર પટેલનો સિંહ ફાળો રહ્યો. આ મંદિરની નજીકમાં ભગવાન શ્રીકૃષ્‍ણને પારધીએ તીર માર્યું જેના પરિણામ સ્વરૂપ ભાલકાતીર્થ જાણીતું બન્યું. હિન્‍દુધર્મના ચાર યાત્રાધામો પૈકીનું એક એટલે દ્વારકા. 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર પાંચ માળ અને 60 સ્‍તંભો ધરાવે છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા, ચામુંડાદેવીના મંદિર માટે જાણીતું છે. અહીં તરણેતરનો મેળો જગવિખ્યાત છે.

દક્ષિ‍‍ણના દરિયાકાંઠે દાંડીમાં ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું અને સવિનય કાનૂન ભંગ કર્યો, જેથી બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી. તાપી નદીના કિનારે વસેલું સુરત એક સમયે પશ્ચિમ ભારતનું બંદર હતું. એમ કહેવાય છે કે, અહીં દેશ-પરદેશનાં વહાણો પર 84 બંદરના વાવટા ફરકતા હતાં. આજે ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું સુરત 1994માં પ્‍લેગની બિમારીથી ‘ગંદામાં ગંદું શહેર‘ કહેવાયું. જોકે માત્ર બે વર્ષના ગાળામાં સુરતે પોતાનું કલંક ભૂંસી નાખ્‍યું અને ભારતનું 'સ્‍વચ્‍છ શહેર' બન્યું. મોગલ સમયમાં સુરત ‘મક્કા બંદર‘, ‘મક્કાબારી‘ અને ‘બાબુલ મક્કા‘ તરીકે પણ ઓળખાયું, તો વલસાડનું પરું બની ગયેલું તીથલ, આજે દરિયાકિનારનું હવા ખાવાનું સ્‍થળ બન્યું છે, જ્યાં સાંઈબાબાનું મંદિર છે.

ઉત્તર સરહદે આરાસુર ડુંગર પર આવેલું અંબાજી મંદિર ભાદરવી મેળાથી જગવિખ્યાત બન્યું. હાલમાં હિટ સિટીથી જાણીતું ઈડર, ક્યારેક એવો ગઢ ગણાતો કે, એ જીત્યા બાદ‘ઈડરિયો ગઢ જીત્‍યા‘ એવી લોકોક્તિ પ્રચલિત હતી. નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગર, શિલ્‍પકળા અને વાસ્‍તુકળા માટેનું પ્રતીક હતું. જ્યારે તાનસેનમાં દીપક રાગથી અગ્નિને જન્મી ત્યારે અહીંની તાના-રીરી એમ બે બહેનોએ મલ્‍હાર રાગ છેડી અગ્નિ શમાવી દીધેલી. સરસ્‍વતી નદીના તટે વસેલું પાટણ એક વખતે ગુજરાતની રાજધાની હતું. અણહિલપુરથી જાણીતા પાટણમાં સહસ્‍ત્રલિંગ તળાવના અવશેષો અને સ્‍થાપત્‍યની ભવ્‍યતાનું દર્શન કરાવતી રાણકી વાવ સુવિખ્‍યાત છે, તો ભારતમાં બે માત્ર સૂર્યમંદિરોમાંનું એક મોઢેરાનું સુર્યમંદિર ભીમદેવના સમયમાં બંધાયું હતું.

જ્યાં 2001ના ભૂકંપ અને 2002ના ગોધરાકાંડ બાદ ઉભું થયેલું મારું ગુજરાત આજે વિકાસના વિવિધ પાસાઓ સાથે દેશ અને દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરવામાં તત્પર રહ્યું છે. તો આ હતી મારા ગુજરાતની વૈવિધતા,

જય જય ગરવી ગુજરાત...

No comments:

Post a Comment