Monday, April 22, 2019

ચૂંટણીના સમાચારો નીચે જળસંકટ દબાયું, ક્યાં છે મીડિયા?

રાજ્યમાં જળ સંકટના એંધાણ છે, ત્યારે ગુજરાતના 200 વધુ ડેમમાંથી 115 જેટલા ડેમ સુકાયેલા છે યા તો સુકાવાની તૈયારીમાં છે. હાલ આ જળાશયોમાં માંડ 10 ટકા પાણી બચ્યું છે. જ્યારે 65થી વધુ ડેમ 50 ટકાથી 10 ટકા જેટલા પાણીથી ભરેલા છે. રાજ્યમાં ડેમના પાણી સ્તર અંગે સિંચાઈ વિભાગે થોડાક આંકડા જાહેર કર્યાં છે. જેમાં રાજ્યના 203 જેટલા ડેમમાં પાણી ગત વર્ષની સરખામણીએ 9.57 ટકા પાણી ઓછું છે.



કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સ્થિતિ અતિગંભીર બની છે. હાલ આ વિસ્તારોમાં આવેલા ડેમ માત્ર 18 ટકા ભરેલા છે. હજુ ઉનાળાના કપરા દિવસો બાકી છે, એવા સમયે ગ્રામ્ય લોકો અને અબોલ જીવો માટે દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ છે. ગામડામાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની મુશ્કેલી ઊભી થઈ છે. અનેક ગામડામાં મહિને પાણી નથી આવતું, તેમ છતા બીલ જરુર આવે છે. હાલ રૂપાણી સરકાર પાસે પાણીની ગંભીર સમસ્યા માટે કોઈ આયોજન નથી. નેતાઓ અને કર્મચારીઓ ચૂંટણીમાં લાગ્યાં છે. આવા સમયે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતું આપણું ગુજરાતી મીડિયા ચૂંટણીમાં વ્યસ્ત થઈ ગયું છે. 

ક્યાં છે આપણું ગુજરાતી મીડિયા?
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી મીડિયામાં ચૂંટણીના સમાચારો એટલા હાવી થવા લાગ્યાં કે, સામન્ય જનતાના મુદ્દા ધીરે ધીરે સ્પેશિયલ પેકેજ અને ગ્રાઉન્ડ રિપાર્ટમાંથી સ્કોલ બનતા ગયાં.., જે સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો પર હોવાની વાતો કરતા હતાં, એ આજે નેતાઓના ઇન્ટરવ્યું લેવા લાગ્યાં છે, ન્યૂઝ રૂમમાં કામ કરતા લોકો આજે ચૂંટણીના બેકિંગ સુધી સીમિત થઈ ગયાં છે. ન્યૂઝ પેપરની હેડલાઈન પ્રજાના પૈસાનું પાણી કરતા નેતાઓના રોડ-શોની બની ગઈ છે. 24 કલાકની ન્યૂઝ ચેનલના એક કલાકના બુલેટિનમાં ભાગ્યે જ કોઈ પ્રજાની સમસ્યાને વાચા મળી રહી છે. બાકી તો નેતાઓની દાવેદારી અને શાહી ઉમેદાવારીમાં જ આખો દિવસ ચાલ્યો જાય છે, આવું આપણી 24 કલાકની ચેનલો બતાવી રહી છે. 

ચેનલ-વેબસાઈટ કે પેપરમાં કામ કરતા, સમાચાર બતાવનાર કે બનાવનાર ઉત્કૃષ્ટ પત્રકારો મૂળ તો ગુજરાતના ગામડાંમાંથી જ આવે છે, પણ અમદાવાદી શહેરી જીવનમાં ઢળી આપણે બધાએ મોટી ભૂલ કરી છે. હવે આપણને ગામડાંની સામાન્ય પ્રજાના સવાલો પહેલા સિટી ગોલ્ડની ફિલ્મ વહાલી લાગે છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી જળસંકટનું કાળું વાદળ ઘેરાઈ રહ્યું છે, પણ હવે આવી ગઈ ચૂંટણી, એટલે જળ સંકટના સમાચાર ગોત્યા જળતા નથી. જોવા જઈએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં જળસંકટની ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. પાણીની સમસ્યાને કારણે લોકો અને ઢોર વલખાં મારી રહ્યાં છે, પરંતુ આપણાં 24X7 ચાલતા મીડિયા હાઉસમાં એક મિનિટ માટે પણ જળસંકટના સામચાર કે કોઈ ગ્રાઉન્ડ રિપોર્ટ જોવા મળતો નથી.

હવે ન્યૂઝ ચેનલોએ "વૉટયાત્રા" શરૂ કરી છે. જેમાં ઈસ્ત્રી કરેલી કોટી પહેરી, મોંઢે મેક-અપ કરી એક પત્રકાર પોતાની ચેનલના બૂમ સાથે લોકોને પશ્નો પુછે છે, 

  • શું તમને લાગે છે મોદી સરકાર ફરી સત્તા પર આવશે?, 
  • આ વખતે તમે કોને મત આપશો?, 
  • તમે પક્ષને પસંદ કરશો કે નેતાને?,
  • તમારા મતે મોદી ફરીથી PM બનવા જોઈએ? 


આવા સાવાલો એવા લોકોને પુછવામાં આવે છે. જેમને પ્રત્યક્ષ રીતે સરકાર સાથે કંઈ જ લેવા દેવા નથી. આપણે પત્રકારો લોકો વચ્ચે જઈએ છીએ ખરાં પણ ક્યારેય એમને એવી કોઈ વાત નથી કરતા કે, તમને શું મુશ્કેલીઓ પડી રહી છે?, આપણે ટીશ્યું પેપરથી પરસેવા લુછતા-લુછતા એમની સાથે વાતો કરીએ છીએ. જો આપણે આવી રીતે કરીશું તો ક્યારેય આત્મિયતા નહીં બંધાય કેમ કે, ગામડાંના સામન્ય લોકો આપણને પણ નેતાઓની જેમ સાહેબ સમજવા લાગ્યાં છે. 

આપણે ગામડાંઓમાં જઈએ છીએ તો પણ સાથે મિનરલ વોટરની બોટલ રાખીએ છીએ. ગામડાંના ધૂળીયા રસ્તાથી બચવા અને ગરમીથી બચવા AC ગાડીમાં બેસી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીએ છીએ. આ બધી વાતો એટલા માટે મહત્વની છે કારણ કે, ગ્રામીણ પ્રજા તો એવા વાતાવરણમાં જ રહે છે, જ્યાં સુધી આપણે એ વાતાવરણને નહીં જાણીએ ત્યાં સુધી કેવી રીતે એમની વાસ્તવિકતા પરિસ્થિતિ બતાવી શકીશું?
આટલું લખ્યા પછી પણ એક પત્રકાર તરીકે દુઃખ જ થાય છે, કારણ કે, કોઈપણ મીડિયા પોતાની પોલીસી પ્રમાણે ચાલે છે અને સામાન્ય નોકરિયાત તરીકે એટલી સત્તા હોતી નથી કે, આપણે કંઈક બતાવી શકીએ. પણ આ બધુ આંખોની સામે થાય છે. આ માટે ખુબ જ દુઃખ થાય છે...

જય હિન્દ...

1 comment:

  1. જળસંકટ સાથે મીડિયસંકટ પણ ઉભું થયું છે....સાચા સમયે સાચી વાત....Nice.article

    ReplyDelete