Wednesday, November 14, 2018

ભાજપ માટે નાક તો કોંગ્રેસ માટે શાખ બચાવવાનો સંઘર્ષ...

પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીને આગામી લોકસભાની સેમીફાઇનલ માનવામાં આવી રહી છે, ત્યારે મિઝોરમ અને તેલંગાણાને બાદ કરતા રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. આ ચૂંટણીઓમાં ત્રણ રાજ્યમાં ભાજપ એન્ટિ ઇન્કમ્બન્સીનો સામનો કરી રહ્યું છે, તો કોંગ્રેસ લાંબા વનવાસ બાદ સત્તાના શિખરો સર કરવા તૈયાર થઈ ગયું છે.


પાંચેય રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી કેન્દ્રમાં સત્તાધારી ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ માટે ખુબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે, કારણ કે આ ચૂંટણી આગામી લોકસભાની ચૂંટણીનો માહોલ ઊભો કરવામાં મોટી ભૂમિકા ભજવશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ સતત ચૂંટણી જીતતું આવ્યું છે. મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ૧૪ વર્ષથી મુખ્યપ્રધાન છે, તો છત્તીસગઢમાં રમનસિંહ સતત ૨૦૦૩થી CM પદ પર કાયમ છે. રાજસ્થાનમાં પણ ભાજપના વસુંધરા રાજેનું રાજ છે. આ પાંચ રાજ્યમાં માત્ર મિઝોરમમાં જ કોંગ્રેસની સરકાર છે, અહીં કોંગ્રસ સતત 3 ટર્મથી સત્તામાં હોવાથી એન્ટિ ઇન્કબંસીનો સામનો કરી રહી છે.

આમ તો આ પાંચેય રાજ્યની વિધાનસભા ચૂંટણી લોકસભાની સેમિફાઇનલ ગણવામાં આવે છે, પરંતુ ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે લોકસભામાં કોઇ એક પક્ષ બહુમતિ મેળવીને સત્તાસ્થાને બિરાજ્યો હોય અને ત્યારબાદ દેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં વિપક્ષની સરકાર રચાઇ હોય. આવો બનાવ જનતા પાર્ટીની સરકાર અને ઇન્દિરા-રાજીવ ગાંધીના શાસનકાળ દરમિયાન જોવા મળ્યાં છે. સામાન્ય રીતે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં લોકોના અભિપ્રાય જુદાં-જુદાં રહેતાં હોય છે. રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા વધારે મહત્ત્વના હોય છે, પરંતુ છેલ્લા કેટલાંક સમયથી જોવામાં આવી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ રાષ્ટ્રીય મુદ્દાઓ મહત્વના બન્યાં છે. તાજેતરની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો ધાર્મિક પ્રતિકોનો વધુ પડતો ઉપયોગ કરતા નજરે પડ્યાં છે. આમ, ચૂંટણીટાણે ધર્મ અને જાતિનો સહારો લેવો લોકશાહીની ભાવના વિરુદ્ધનો છે, પરંતુ હવે તો જાણે ચૂંટણીઓ ધર્મ અને જાતિના આધારે જ લડાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. 

ભાજપના કટ્ટર હિન્દુત્ત્વ સામે કોંગ્રેસે પણ સોફ્ટ હિન્દુત્ત્વ અપનાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને શિવભક્ત તરીકે રજૂ કરવામાં આવી રહ્યાં છે. રાહુલ પોતાના પ્રચારમાં રાજ્યકક્ષાના મુદ્દાઓને ખાસ સ્પર્શતા નથી,  તેમનું જોર PM મોદી ઉપર હુમલા કરવામાં વપરાય છે. ભલે કોંગ્રેસ વડાપ્રધાન મોદી ઉપર હુમલા કરવાનો એક પણ મોકો ચૂકતી ન હોય, પરંતુ અંદરખાને કોંગ્રેસને લાગે છે કે દેશની જનતામાં ક્યાંકને ક્યાંક મોદી મેજીક હજુ પણ યથાવત છે, જ્યાં સુધી મોદીની છબી ઝાંખી નહીં પડે ત્યાં સુધી ભાજપનો પરાજય મુશ્કેલ છે. 

તાજેતરમાં આવેલા ઓપીનિયન પોલમાં પણ દેશના લોકો વડાપ્રધાન તરીકેને મોદીને જ પસંદ કરતા જણાઈ રહ્યાં છે, તો બીજી તરફ વિપક્ષ મોદી વિરુદ્ધ જે મહાગઠબંધન રચવાની તૈયારીમાં છે, એ તો બનતા પહેલાં જ વિખેરાઇ ગયું છે. BSP સુપ્રીમો માયાવતી બગાવત કરતા નજરે પડે છે, તો ક્યાં SPના અખિલેશ કોંગ્રેસથી અંતર બનાવી રહ્યાં છે. હવે જોવાનું એ રહે છે કે, રાહુલની આગેવાની હેઠળની કોંગ્રેસ 5 રાજ્યની ચૂંટણીમાં કેવું પ્રદર્શન કરે છે, જો કોંગ્રેસનું પ્રદર્શન સારું રહેશે તો આગામી લોકસભા ચૂંટણી પહેલાં મોદી વિરૂદ્ધ મહાગઠબંધન રચાવાની શક્યતા વધી જશે. 

ચૂંટણી ભલે પાંચ રાજ્યોમાં હોય, પરંતુ મિઝોરમ અને રાજસ્થાનને બાદ કરતા બાકીના ત્રણ રાજ્યમાં હજુ પણ એ સ્પષ્ટ નથી કે કોનું લશ્કર કોની સામે લડી રહ્યું છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર છે, તો તેલંગણામાં KCRના રાજકીય કાવાદાવા વચ્ચે કોઈ ચિત્ર સ્પષ્ટ થતું નથી. એટલું નક્કી છે કે આ રાજ્યોમાં ભાજપ PM મોદીના ચહેરા સાથે જ ઉતરશે. આમ ગત લોકસભાની ચૂંટણી બાદ દેશના જે ખૂણે ચૂંટણી યોજાઇ છે, ત્યાં ભાજપ જ સત્તના સરતાજ સુધી પહોંચી છે. કર્ણાટકમાં ભલે સત્તા હાથ ન લાગી, પરંતુ સૌથી મોટી પાર્ટી બનવાનો શ્રેય પણ મોદીને જ જાય છે. એકંદરે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસની અગ્નિપરીક્ષા વધુ છે. ભાજપ પોતાની વિજયી છબીને બચાવવા માટે લડી રહ્યું છે, તો કોંગ્રેસ પોતાનું અસ્તિત્ત્વ બચાવવા માટે લડી રહી છે. હવે એ જોવું રહ્યું કે પાંચેય રાજ્યની જનતા કેવો જનાદેશ આપે છે. 

No comments:

Post a Comment