Tuesday, April 3, 2018

જાણો SC-ST એક્ટનો પુરો ઈતિહાસ......

દલિતો પર થતા અત્યાચારોને રોકવા માટે આજથી 30 વર્ષ પહેલાં SC-ST એક્ટ બનાવવામાં આવ્યો હતો. આ એક્ટને એપ્રિલ 2016માં વધુ મજબૂતી મળી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન પોતાના નિર્ણયમાં આ કાયદામાં કેટલાક ફેરફાર કર્યા હતા. આ કાયદામાં સૂચવેલા ફેરફાર પરત લેવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી રહી છે. જો કે આના વિરોધમાં દલિત સંગઠનો રોડ પર ઉતરી આવ્યા છે અને દેશભરમાં ઠેર-ઠેર બંધ પાળવામાં આવી રહ્યો છે.

તસવીરઃ- Google Photo

વર્ષ1989ની 11 સપ્ટેમ્બરના રોજ સંસદમાં એક બિલ પ્રસાર કરવામાં આવ્યું હતું. તે દરમ્યાન રાજીવ ગાંધી સરકારનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હતો. રાજીવની કોંગ્રેસ સરકારે લોકસભામાં 404 બેઠક જીતી જંગી બહુમતી સાથે સત્તા પર આવી હતી. સંસદમાં રજૂ કરાયેલા બિલમાં કોંગ્રેસ સરકારે દલીલ કરી હતી કે, “અનુસૂચિત જાતિ અને જનજાતિના તમામ સામાજિક આર્થિક ફેરફારો છતાં એમની સ્થિતિ સરી નથી થઈ. ક્રૂરતાના કેટલાંય મામલા સામે આવ્યાં છે, જેમાં તેમણે પોતાની સંપત્તિની સાથે જીવ પણ ગુમાવવો પડ્યો છે, જ્યારે પણ આ લોકો પોતાના અધિકારોની વાત કરે છે અને કોઈ ખોટી વાતનો વિરોધ કરે છે તો તાકતવર લોકો તેમને હરાવવાનો પ્રયત્ન કરે છે. આ સિવાય જ્યારે પણ SC-ST સમુદાય સાથે સંબંધ ધરાવતા લોકો પોતાની અને પોતાની મહિલાઓના આત્મસમ્માનની વાત કરે છે, તો પ્રભાવશાળી લોકો તેમને અપમાનિત કરે છે.  આવી સ્થિતિમાં સિવિલ રાઈટ એક્ટ-1955 અને ભારતી દંડ સંહિતામાં કરવામાં આવેલી જોગવાઇઓ તેમને ન્યાય અપાવવામાં નબળી પડી રહી છે, ત્યારે તેમના પર અત્યાચાર કરતા લોકોને સજા આપવા માટે આકરો કાયદો બનાવવામાં આવે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ SC-STની સુરક્ષા માટે કાયદો બનાવે અને જેમની સાથે અત્યાચાર થાય એમના પૂનર્વાસની વ્યવસ્થા કરે.” આ દલીલો સાથે કેન્દ્ર સરકારે સંસદમાં એક બિલ પાસ કરાવ્યું હતું. આ બિલનું નામ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હતું.

સંસદમાં પાસ થયા બાદ આ બિલ પર રાષ્ટ્રપતિએ પણ સહી કરી, ત્યારબાદ 30 જાન્યુઆરી, 1990ના રોજ જમ્મુ અને કાશ્મીર સિવાય આખા દેશમાં આ કાયદો લાગૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2016માં મોદી સરકારે આ કાયદામાં કેટલાંક સંસોધન કર્યાં. આ સંસોધનો સાથે 14 એપ્રિલ, 2016ના રોજ ફરીથી આ કાયદો લાગૂ કરવામાં આવ્યો. આ કાયદો દેશના દરેક માણસને લાગૂ પડે છે. જેઓ અનુસૂચિત જાતિ-જનજાતિના સભ્ય નથી. જો કોઈ શખ્સ SC-ST સાથે સંબંધ ધરાવતા વ્યક્તિને હેરાન-પરેશાન કરે તો, તેની વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અંતર્ગત કાર્યવાહી કાયદાકિય કાર્યવાહી થાય છે. આ અપરાધ માટે તેણે IPCની કલમો ઉપરાંત SC-ST કાયદા અંતર્ગત પણ સજા સંભળાવાય છે. આ કાયદો પીડિતોને વિશેષ રક્ષણ પૂરૂ પાડે છે. કાયદા મુજબ પીડિતોને વિવિધ ગુના માટે 75 હજારથી 8 લાખ 50 હજાર સુધીની મદદ કરાય છે. આ માટે વિશેષ અદાલતો બનાવાઈ છે. જેમાં આવા કેસની સુનાવણી તરત થાય છે. મહિલાઓ વિરુદ્ધના અત્યાચારોના મામલામાં પીડિતાને અલગ મેડિકલ તપાસની વ્યવસ્થા પણ કરાય છે. આ દલિત પીડિતોને પોતાનો કેસ લડવા માટે સરકાર તરફથી આર્થિક મદદ પણ મળે છે.

ક્યારે લાગુ પડે આ કાનૂન
SC-STના લોકોને અપમાનિત કરવા અને જબરદસ્તીથી એમને મળ-મૂત્ર ખવળાવવું, સામાજિક બહિષ્કાર કરવો, SC-STના લોકો સાથે વ્યવસાય કરવાનો ઈનકાર કરવો અથવા SC-ST હોવાથી નોકરી કે કામ ન આપવું, SC-ST સાથે મારપીટ કરવી, જમીન પડાવી લેવી, ભીખ માંગવા પર મજબૂર કરવા, બાંધેલો મજૂર બનાવવો, વોટ આપતાં રોકવો કે વોટ દેવા માટે દબાણ કરવું, કોઇ સાર્વજનિક જગ્યાએ જવા માટે રોકવા સહીતની કોઇપણ પ્રકારની હેરાનગતીના ગુનામાં આ કાયદો લાગૂ પડે છે.

શું થાય છે સજા
આવા કેસમાં IPCની સજા ઉપરાંત SC-ST એક્ટમાં અલગથી 6 માસથી લઈને ઉંમરકેદ સુધીની સજા અને દંડની જોગવાઈ કરાઈ છે. જો કોઇ સરકારી અધિકારીએ ગુનો કર્યો હોય તો,  IPC ઉપરાંત એટ્રોસિટી એક્ટ અંતર્ગત 6 માસથી 1 વર્ષની સજા થઈ શકે છે.

વિશેષ અદાલતની વ્યવસ્થા
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 અંતર્ગત વિશેષ અદાલતની વ્યવસ્થા કરાઈ છે. અધિનિયમની કલમ-14 મુજબ આ કાયદા અંતર્ગત દાખલ થયેલ કેસના ટ્રાયલ માટે વિશેષ અદાલતની વ્યવસ્થા કરાઈ છે. જે દરેક રાજ્યમાં ચાલું હોય છે.  જો કોઈ વ્યક્તિ સામે આ એક્ટ અંતર્ગત કેસ દાખલ થાય છે તો, પોલીસે એ શખ્સની તાત્કાલીક ધરપકડ કરવી પડે છે. આ કેસમાં સંડોવાયેલા શખ્સને કોઈપણ પ્રકારના આગોતરા જામીન મળતા નથી. ધરપકડ બાદ માત્ર હાઈકોર્ટ જ જમાનત આપી શકે છે. ઉપરાંત શખ્સની ધરપકડના 60 દિવસની અંદર જ પોલીસે ચાર્જશીટ દાખલ કરવાની હોય છે. આ ચાર્જશીટ દાખલ થયા બાદ વિશેષ અદાલતમાં સમગ્ર મામલાની સુનાવણી થાય છે.

હાલમાં આ વિવાદનું કારણ શું?
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ, વર્ષ 2016માં સમગ્ર દેશ આવા કુલ 11 હજાર 60 કેસ દાખલ થયા છે, જે આ કાયદા અંતર્ગત આવે છે. કુલ 11 હજાર 60 કેસની તપાસ દરમિયાન 935 ફરિયાદ ખોટી હોવાનું સામે આવ્યું છે. આવા કેસમાં ફરિયાદ થયા બાદ તરત જ ધરપકડની જોગવાઇ હોવાથી આ કાયદો હંમેશા વિવાદમાં રહ્યો છે. ક્યારેક રાજનૈતિક દબાણને લઈ કાયદાનો દુરુપયોગ પણ થાય છે. જેને લઈ હાલમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીની સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી બાદ આ કાયદામાં 20 માર્ચના રોજ કેટલાંક ફેરફાર કરાયા હતા.

સુપ્રીમ કોર્ટે શું ફેરફાર કર્યા
આ કાયદા અંતર્ગત તમામ મામલાની તપાસ ઓછામાં ઓછા ડેપ્યૂટી SP રેન્કના અધિકારી જ કરશે. મહત્વનું છે કે, આ કેસમાં અગાઉ ઈન્સ્પેક્ટર રેન્કના અધિકારી તપાસ કરતા હતા. કોર્ટે પોતાની સુનાવણીમાં કહ્યું કે, કોઈપણ સરકારી અધિકારી પર કેસ દાખલ થાય તો, તે સરકારી અધિકારીની તરત જ ધરપકડ નહીં થાય. આ માટે પોલીસે જે-તે સરકારી અધિકારીના વિભાગની ધરપકડની મંજૂરી લેવી પડશે. જો કોઈ સામાન્ય માણસ પર આ કાયદા અંતર્ગત કેસ થાય છે, તો એની પણ તરત ધરપકડ નહીં થાય. તેની ધરપકડ માટે જિલ્લાના SP કે SSPની મંજૂરી લેવી પડશે. કેસ દાખલ થયા બાદ તેમને આગોતરા જામીન પણ આપવામાં આવી શકે છે. જામીન આપવા કે નહીં તે નિર્ણય કરવાનો અધિકાર માત્ર મેજિસ્ટ્રેટ પાસે જ રહેશે. અત્યાર સુધી આગોતરા જામીન નહોતા મળતા અને જમાનત માટે હાઇકોર્ટમાં જ અરજી કરવી પડતી હતી.

અત્રે નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દલિત સંગઠનોએ સોમવારે ભારત બંધનું એલાન આપ્યુ હતું, તે દરમિયાન 10થી વધુ રાજ્યોમાં વિરેધ પ્રદર્શનો થયા હતા. જેમાં 14 લોકોના મોત અને સમગ્ર દેશમાં મોટું નુકશાન થયું હતું. આ વિરોધ પ્રદર્શનોની સૌથી વધુ અસર મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, બિહાર અને ઉત્તરપ્રદેશમાં થઈ હતી. જેમાં સૌથી વધુ હિંસા મધ્યપ્રદેશમાં થઈ હતી.

આર્ટિકલ 21 હેઠળ જીવવાના અધિકાર અંતર્ગત આરોપીના અધિકારોનું રક્ષણ કરવું એ મહત્વપૂર્ણ છે, તો બીજી તરફ SC/ST સમુદાયના લોકોને બંધારણના આર્ટિકલ 21 અને છૂતાછૂત પ્રથા વિરુદ્ધ આર્ટિકલ 17 હેઠળ સંરક્ષણ આપવું પણ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે એસસ/એસટી એક્ટ મામલે દાખલ કરાયેલી પુનર્વિચાર અરજીને ખુલ્લી કોર્ટમાં સુનાવણી કરી હતી, જેમાં કોર્ટ પોતાના નિર્ણય પર અડગ રહી છે. કોર્ટે કહ્યું કે, "અમે SC/ST એક્ટ, પર નિર્દોષ લોકોને સજા ન આપી શકીએ.''

સદર્ભ-સૂચિઃ-

1) ગુજરાત સમાચાર

2) ભારતનું બંધારણ

No comments:

Post a Comment