Thursday, March 15, 2018

શું UP-બિહારનું પરિણામ ભાજપ માટે 'બુરે દિન'ની શરૂઆત?


 
હમણાં જ UP-બિહારની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયાં છે, ત્યારે આ પરિણામો વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પર અસર કરશે? શું આ પરિણામોનો પ્રભાવ 19ની લોકસભાની ચૂંટણી પર પડશે ખરો?, જે પણ થાય પણ એક વાત ચોક્કસ સાબિત થઈ છે કે, આ ચૂંટણીમાં જીત મેળવનારા પક્ષમાં ઉર્જા જરૂર પેદા થઈ છે, તો બીજી તરફ ચૂંટણીમાં હારનો સામનો કરનાર ભાજપની ચિંતા સતત વધારો થયો છે. આ બંને રાજ્યોની પેટાચૂંટણીના પરિણામો કદાચ વિપક્ષો માટે મહત્વના સાબિત થઈ શકે છે.
તસવીરઃ- Google Photo
ઉત્તરપ્રદેશમાં ગોરખપુર અને ફૂલપુર લોકસભા ભાજપને કરારી હારનો સામનો કરવો પડ્યો છે. જેથી ભાજપની ચિંતાઓ વધી ગઈ છે. યુપીમાં સપા અને બસપાએ ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. એક હકીકત મુજબ, વિરોધી પક્ષોએ યુપીના CM યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના મત વિસ્તારમાં ભાજપની શાખને તોડી નાંખી છે. આમ, યુપીની જનતાએ પેટાચૂંટણીમાં ભાજપને જાકારો આપ્યો છે. યુપીમાં ગોરખપુર-ફૂલપુર સિવાય બિહારની અરરિયા લોકસભા બેઠક અને જહાનાબાદ અને ભભુઆ વિધાનસભા બેઠકના પરિણામો પણ આવ્યાં છે. આ પરિણામો ભાજપા અને JDU માટે ઓછા આઘાતજનક રહ્યાં છે. બિહારના પરિણામથી પર ભાજપ-JDU સંતોષ વ્યક્ત કરી શકે છે, પરંતુ તેઓ વિરોધી પક્ષોના વોટની વધતી જતી ટકાવારીને નજરઅંદાજ કરી શકશે નહીં. બીજી એક હકીકત મુજબ હાલ બિહારમાં લાલુ યાદવ જેલમાં હોવા છતાં લાલુનો પ્રભાવ યથાવત રહ્યો છે. આથી લાગી રહ્યું છે કે, બિહારમાં જાતિના રાજકારણ આગળ ભ્રષ્ટાચારનો મુદ્દો નાનો સાબિત થયો છે.

ભાજપ ભલે બિહારની પેટાચૂંટણીના પરિણામોની ખુશ હોય પણ યુપીના પરિણામોને નજરઅંદાજ ક્યારેય નહીં કરી શકે. કારણ કે યુપીમાં વિપક્ષોએ એકજૂથ થઈ ભાજપને પરચો બતાવી દીધો છે. આ પરિણામો ભાજપ પર ભારે પણ પડી શકે છે. આ સિવાય ગોરખપુર-ફૂલપુરની પેટાચૂંટણીમાં મતદાન પણ ઓછું થયું હતું. આમ, મતદાનની ઓછી ટકાવારીએ પણ ભાજપને નુકશાન પહોંચાડ્યું છે. હવે પ્રશ્ન એ થાય છે કે, ભાજપ પોતે લોકોને મતદાન માટે કેમ ઉત્સાહિત કરી ન શકયું?

તસવીરઃ- Google Photo
યુપીમાં ભાજપની કારમી હાર અને બિહારમાં અરરિયામાં RJDની ઉલ્લેખનીય જીત બાદ ભાજપ અને JDUની ચિંતામાં વધારો થયો છે. આમ, વર્ષ 2019ની પૂર્વ તૈયારી કરતાં કોંગ્રેસના સોનિયા ગાંધીએ 12થી વધુ પક્ષને સાથે લીધા છે. જો કે હાલમાં તમામ વિપક્ષ પોતાના નેતા, નીતિ અને વિચારની બાબતમાં સ્પષ્ટ દેખાતા નથી, પરંતુ વિપક્ષ એકજૂથ થયાં તો, ભાજપને પોતાની જીત યથાવત રાખવામાં મુશ્કેલી પડી શકે છે. પેટાચૂંટણીઓમાં દરેક મતદાનકર્તા સરકાર ગઠનના ઈરાદાથી મતદાન નથી કરતો, પરંતુ ભાજપ મતદાતાઓને નજરઅંદાજ પણ કરી શકે તેમ નથી. 

વર્ષ 1989થી ભાજપનો ગઢ ગણાતી યોગીની ગોરખપુર બેઠક ભાજપે ગુમાવી છે. દેશમાં સૌથી વધુ લોકસભાની બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં મહત્વની અને પ્રતિષ્ઠાના જંગ ગણાતી આ બે બેઠકો ગુમાવતા ભાજપ પર ચિંતાના વાદળો ગેરાયા છે. 19ની લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજકીય નિષ્ણાંતો આ પરિણામને ટ્રેલર માની રહ્યાં હતાં. સૌથી મહત્વની ગણાતી ગોરખપુર બેઠકમાં વર્ષ 1989થી સતત યોગી આદિત્યનાથ સાંસદ તરીકે ચૂંટાતા આવ્યાં છે, પરંતુ યુપીમાં યોગીને મુખ્યમંત્રી બનાવાતા આ બેઠક ખાલી પડી હતી. જેની પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં સપા અને બસપાએ એક સાથે મળી સપાના પ્રવીણ નિશાદને ઉમેદવાર બનાવ્યાં હતાં. આમ, બસપાએ સપાને ટેકો આપ્યો હતો. પેટાચૂંટણીમાં સપાના પ્રવીણ નિશાદની સામે ભાજપે ઉપેન્દ્ર દત્ત શુક્લાને ટિકિટ આપી હતી. ચૂંટણીમાં સપાના પ્રવીણ નિશાદે ભાજપને હરાવી ભાજપના ગઢમાં ગાંબડૂ પાડ્યું છે.

તસવીરઃ- Google Photo
યુપી અને બિહારની પેટાચૂંટણીમાં PM મોદી અને યોગી સહિતના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો હતો. તેમ છતાં અહીં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. જીત પર વિપક્ષ કહે છે કે, આ જીતથી મોદી સરકારના અંતની શરૂઆત થઈ ગઈ છે, તો બીજી તરફ આ જીતથી સપા અને બસપાના કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ છે. આ જીત પર અખિલેશે કહ્યું કે, ભાજપમાં ઘમંડ આવી ગયું છે, ભાજપના બુરે દિન માટે જનતા એક થઈ ગઈ છે, લોકોએ સપા-બસપાને સાપ-વીંછી કહેનારાઓનું ઘમંડ ઉતાર્યું છે. ભાજપની હાર થતા તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીએ ટ્વિટ કરતા કહ્યું કે, આ તો માત્ર શરૃઆત છે, હવે મોદી સરકારનો અંત નિશ્ચિત છે. આ સિવાય NDA સાથે છેડો ફાડવાની વાત કરનાર શિવસેનાએ જણાવ્યું કે, ભગવાન શ્રી રામ હવે ભાજપ સાથે ક્રોધીત છે, તે આ પરિણામો પરથી પુરવાર થયું છે.

કહેવાય છે કે, દેશમાં હવા બદલાઈ રહી છે, ભાજપથી દેશના લોકો નારાજ છે. આ પરિણામો પર રાજકીય નિષ્ણાંતો માની રહ્યાં છે કે, ભાજપને યુપીમાં આપણે જીત મેળવીશું તેવો વધુ પડતો આત્મવિશ્વાસ હતો, જેના લીધે ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. યુપીમાં ભાજપની હારનું સૌથી મોટું કોઈ કારણ હોય, તો તે ગોરખપુરની હોસ્પિટલમાં મોતને ભેટતાં બાળકો છે. અહીં સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા 60થી વધુ બાળકોના મોત થયાં હતા. બાળકોના મોત બાદ લોકોમાં સરકાર પ્રત્યે ભારે ગુસ્સો જોવા મળ્યો હતો, તો બીજી તરફ આ ઘટના બાદ પણ યોગી આદિત્યનાથ અને તેમના મંત્રીઓ વિવાદીત નિવેદનો કર્યાં હતાં. જેની ગોરખપુર વિસ્તારમાં મોટી અસર થઈ હતી. ઉપરાંત બન્ને બેઠકો પર સપા-બસપાનું ગઠબંધન પણ ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થયું હતું. હવે લોકોની નજર વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પર છે. કહેવાય છે કે, દેશના લાલ કિલ્લાની ગાદી યુપીની લોકસભાની બેઠકો જ નક્કી કરે છે.

તસવીરઃ- Google Photo

No comments:

Post a Comment