Friday, March 16, 2018

અવિશ્વાસ પ્રસ્તાવનું ગણિત અને ભાજપ


તેલુગૂ દેશમ પાર્ટી(TDP)એ ભાજપના નૈતૃત્વ હેઠળના NDA ગઠબંધનમાંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો છે. આ બાબતે TDPએ  NDA ગઠબંધનમાંથી મુક્ત થવાની જાહેરાત કરી દીધી છે. આ સિવાય TDPએ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં આપવાની બાબત પર અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પણ મોકલી દીધી છે. મહત્વનું છે કે, આ અગાઉ YSR કોંગ્રેસે પણ NDAમાંથી છેડો ફાડ્યો હતો.


તસવીરઃ- Google Photo
TDPના આ પ્રસ્તાવને AIADMKએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. આ બાબતે આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું કે, 'આંધ્ર પ્રદેશ સાથે અન્યાય કરનાર NDA ગઠબંધનને હવે અમે સમર્થન નહીં કરીએ.' ગત સપ્તાહે TDPએ કેન્દ્ર સરકારમાંથી બહાર થવાના નિર્ણય પર કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાતને ગંભીર રીતે નથી લઈ રહી. નોંધનીય છે કે, હમણાં જ UP-બિહારમાં લોકસભાની ત્રણ બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની કરારી હાર થઈ હતી અને હવે TDPના NDAમાંથી મુક્ત થવાના નિર્ણય પર ભાજપને બીજા મોટો ફટકો પડી શકે છે. 

અગાઉ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા બાબતે નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, જો આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાશે, તો બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિતના બીજા રાજ્યો પણ વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરશે. જેટલીના આ નિવેદન બાદ આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબૂ નાયડૂએ કેન્દ્ર સરકારમાં રહેલા પોતાના મંત્રીઓને રાજીનામું આપી દેવા કહ્યું હતું. આમ, TDPના બહાર જવાથી હવે મહારાષ્ટ્રમાં શિવસેના અને પંજાબમાં અકાલી દળ જેવા ભાજપના મહત્વપૂર્ણ સહયોગીઓ પણ NDA છોડી શકે છે. જોકે શિવસેનાએ તો NDAને છોડવાની વાત પણ કરી દીધી છે. મોદી સરકારે આંધ્રની વિશેષ દરજ્જાની માંગ પૂર્ણ ન કરતા NDAમાં મોટી તિરાડ પડી છે. NDA ગઠબંધનમાંથી છેડો ફાડતા TDPના નેતા ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું, જે પક્ષ વર્તમાન સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે, અમે તેમનું સમર્થન કરીશું અને રાજ્યના અધિકારો માટે જે પણ પક્ષ લડશે તેનું સમર્થન કરીશું.

તસવીરઃ- Google Photo
આવા સંજોગોમાં ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહને 19ની લોકસભા ચૂંટણી પહેલા જ મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે. કેમ કે, 2019ની લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ પહેલાથી જ TDP અને YSR કોંગ્રેસ પોતાની તરફ ખેંચવા કોશિશ કરી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં કરારી હારનો સામનો કરનાર કોંગ્રેસ આ બંને પક્ષોની શરતોને સ્વીકારી બંનેને પોતાના પક્ષમાં સમાવી શકે છે. આ સિવાય કોંગ્રેસ 19ની ચૂંટણીમાં પહેલા આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાના લોલીપોપ આપી પોતાના પક્ષમાં સમાવી શકે છે, જેવી રીતે કોંગ્રેસે ગુજરાતમાં પાટીદાર, ખેડૂતો અને દલિતોને લોલીપોપ આપ્યાં હતાં. એક તરફ કોંગ્રેસના એવા હાલ થઈ ગયાં છે કે, સત્તા મેળવવા કોંગ્રેસ ગમે તેવા પક્ષનું સમર્થન કરવા તૈયાર છે, તો બીજી તરફ નાના-નાના રાજકીય નિર્ણય ભાજપ માટે મુશ્કેલી સમાન સાબિત થઈ રહ્યાં છે. યૂપીમાં સપા-બસપાના ગઠબંધને ગોરખપુર જેવા ભાજપના ગઢમાં ગાબડું પાડી દીધું છે, તો ભાજપની કારમી હાર બાદ દેશમાં ભાજપ વિરૂદ્ધનું વાતાવરણ પેદા થઈ ગયું છે.

આપણે ત્યાં એક કહેવત છે કે, રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી હોતો, કે કોઈ કાયમી દુશ્મન પણ નથી હોતો. અત્યાર સુધી ભાજપ સાથે મિત્રતા નિભાવનારી TDPએ NDAમાંથી છેડો ફડી કેન્દ્ર સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી ફરી એકવાર આ કહેવતને સાચી ઠેરાવી છે, પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવથી મોદી સરકારને કોઈ જ ખતરો નથી. લોકસભામાં હાલ પાસે ભાજપ એકલા 274 સાંસદો છે, જ્યારે સત્તા માટેની જરૂરી બહુમતી 272 બેઠકની છે. જે ભાજપ પાસે એકલા હાથે છે.

તસવીરઃ- Google Photo

અવિશ્વાસ પ્રસ્તાવનું ગણિત

આ અવિશ્વાસ પ્રસ્તાવનો લોકસભા સચિવ ત્યારે જ સ્વીકારે, જ્યારે લોકસભામાં 50 જેટલા સાંસદ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરે. સંસદની કાર્યપ્રણાલી અંતર્ગત લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન YSR કોંગ્રેસના નેતાને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા કહેશે. જેમાં ઓછામાં ઓછા 50 સાંસદ ગૃહમાં ઉભા થઈને અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે. આ અવિશ્વાસ પ્રસ્તાવની પ્રક્રિયા માટે સંસદની કાર્યવાહી સુચારૂ રૂપે ચાલશે. આ કામગીરીમાં કોઈ પણ રાજકીય પક્ષ દખલ કરી શકશે નહીં.

હાલ લોકસભામાં 543 સભ્યો પૈકી 536 સાંસદ છે. જેમાં ભાજપ અને તેના સાથી પક્ષોના સભ્યો મળીને કુલ  329 સભ્યો છે. વર્તમાન સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની બહુમતી માટે -ગૃહના કુલ 536 સભ્યોમાંથી અડધા એટલે કે, 269 સાંસદના સમર્થનની જરૂર પડશે. આવા સંજાગોમાં ભાજપ પોતાની તાકાતથી જ સરકારમાં યથાવત રહી શકે છે. તેમ છતાં ગૃહમાં વર્તમાન સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ સ્વીકારી પણ લેવામાં આવે, તો પણ તે નિશ્ચિત રીતે ફગાવી દેવામાં આવશે. હાલ તો TDP અને YSR કોંગ્રેસ તમામ વિરોધ પક્ષોને અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરવાની માંગણી કરી રહ્યાં છે. આમ, વિરોધ પક્ષો અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થન પર લોકસભામાં મોદી સરકાર વિરૂદ્ધ વાક્યુદ્ધ પણ કરશે. કેન્દ્ર સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા કોંગ્રેસ, લેફ્ટીસ્ટ, NCP, તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સમર્થનની જરૂર પડશે, પરંતુ શું વિરોધ પક્ષો આ બાબતે સમર્થન કરશે ખરા? કારણ કે, જો આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જા મુદ્દે સમર્થન અપાશે, તો બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યો પણ વિશેષ દરજ્જાની માંગ ઉભી થશે. જેના પગલે કોંગ્રેસ અને સાથી પક્ષોની મુશ્કેલીમાં વધારો થશે.

UPની પેટાચૂંટણીમાં સપા-બસપાએ હાથ મિલાવ્યા બાદ એક વાત ચોક્કસ સ્પષ્ટ થાય છે કે, વિપક્ષો વર્તમાન સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે. જો આવું થયું તો આગામી લોકસભાની ચૂંટણી પહેલા જ વિરોધ પક્ષને એકજૂથ થવાનો અવસર મળી રહેશે. આમ, ભાજપ માટે મુશ્કેલીમાં વધારો થશે. કારણ કે, મહારાષ્ટ્રમાં ભાજપની સૌથી જુની સહયોગી પાર્ટી શિવસેના નારાજ છે, બિહારમાં ઉપેંન્દ્ર કુશવાહના નેતૃત્વ હેઠળની RLSP પણ ભાજપથી નારાજ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સિવાય જીતનરામ માંઝી પણ થોડા સમય પહેલા RJDના ગઠબંધનમાં શામેલ થઈ ચુક્યાં છે. જોકે સાથી પક્ષોની નારાજગી બાદ પણ ભાજપને લોકસભામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નથી, પરંતુ સાથી પક્ષોનું નારાજ થવું એ વિરોધ પક્ષોને બળ આપશે, માટે ભાજપે પોતાની ડૂબતી નાવને સમાયસર બચાવવી પડશે, નહિ તો 19ની ચૂંટણીમાં લાલકિલ્લાની ગાદી છીનવાઈ પણ શકે છે.

તસવીરઃ- Google Photo

No comments:

Post a Comment