Wednesday, March 14, 2018

ગૃહમાં ગુંડાગર્દી, ગુજરાતની અસ્મિતાનું ચીરહરણ



દેશમાં ગુજરાતને કલંકિત કરનારી ઘટના બની છે. પ્રજાએ રાજ્યનો વહીવટ કરવા ચૂંટલા ધારાસભ્યો ગૃહમાં જ લડ્યાં અને અપશબ્દો બોલી ગુજરાતની આસ્મિતાનું ચીરહરણ કર્યું છે. આ ધારાસભ્યોમાં સભ્યાતા નામની કોઈ ચીજ હોય છે, એવું પણ યાદ રહ્યું નહિને ગૃહમાં જ ગાળાગાળી કરવા લાગી ગયાં હતાં. યાર.....શરમ આવે છે, આવા નેતાઓને વિધાનસભામાં મોકલીને.

તસવીરઃ- Google Photo
નેતાના નામે કલંકરૂપ શખ્સોએ આજે ગુજરાતનું નાક કાપી નાખ્યું છે. કહેવાતા નેતાઓએ વિધાનસભાના ગૃહમાં લોકશાહીને લાંછન લગાડ્યું છે. વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસના સભ્યોએ ગલીના ગુંડાઓને પણ શરમ આવે તેવી રીતે બેલ્ટ અને માઈકથી મારા-મારી કરી નેતાઓને મળેલા ગુંડાઓના બિરૂદને સાર્થક કર્યું છે.


આખરે વિધાનસભામાં થયું શું?


જુઓ વીડિયો......

આજે એટલે કે, 14 માર્ચ, 2018 બુધવારના રોજ વિધાનસભામાં સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને નિકોલના ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે છુટા હાથની મારામારી પર ઉતરી આવ્યાં હતાં. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત ગૃહમાં રહેલું માઈક તોડી ભાજપના જગદીશ પંચાલને માઈક માર્યું હતું. જેમાં જગદીશ પંચાલને સામાન્ય ઈજા પણ થઈ હતી. આ ઘટના બાદ ગૃહમાં થયેલા હોબાળામાં વિધાનસભાની લાંબીમાં પણ મારામારીના કેટલાંક દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

વિધાનસભાની સૌથી કલંકિત ઘટના બાદ ગૃહને જ મોકૂફ રાખવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં બીજીવાર આવી ઘટના ઘટી છે. આ ઘટનાના દિલ્હી સુધી પડઘા પડ્યા છે. આજ સુધીના ઈતિહાસમાં ક્યારેય ન જોઈ હોય તેવી અને તે પણ એક વિધાનસભામાં લાઈવ મારામારી જોવા મળી છે. સમગ્ર ઘટનાને ગુજરાતની 6 કરોડ પ્રજાએ જોઈ છે. આ ઘટનાને પગલે શરૂઆતમાં વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર, વિક્રમ માડમને એક દિવસ માટે અને પ્રતાપ દૂધાતને સમગ્ર સત્ર સુધી સસ્પેન્ડ કરી દેવાયા હતાં. ઘટના બાદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આકરા પગલાં ભરતાં કોંગ્રેસના પ્રતાપ દુધાત અને અમરીશ ડેરને 3 વર્ષ માટે સસ્પેંડ કર્યા છે, જ્યારે બળદેવજી ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેંડ કર્યાં છે. આ સમગ્ર મામલે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ગાંધીના ગુજરાતમાં શબ્દોથી નહીં, પણ હુમલા પર આવી જાય એ કોઈ કાળે ચલાવી લેવામાં નહી આવે. આ ઘટનાએ દેશભરમાં ગુજરાતને બદનામ કર્યું છે.

ગુજરાત વિધાનસભામાં ગૃહની કામગીરી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમને સવાલ ન પૂછવા દેવાતા આ મામલો વણસ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કોંગ્રેસના પ્રતાપ દૂધાત અને ભાજપના જગદીશ પંચાલ વચ્ચે છૂટાહાથે મારામારી થઈ હતી.
સૌજન્યઃ- સંદેશ ન્યૂઝ
આસારામના મુદ્દે થઈ મારામારી

વિધાનસભા ગૃહમાં 14 માર્ચ, 2018 બુધવારના રોજ સવારથી ઉગ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. કોંગ્રેસે ગૃહમાં આસારામના આશ્રમમાં દીપેશ-અભિષેક નામના બાળકોના મોત પર અહેવાલ જાહેર કરવા માંગ કરી હતી. જેમાં ભાજપે વિચારણા કરી નિર્ણય લેવાશે, તેવી રજૂઆત કરી હતી, બાદમાં કોંગ્રેસે સવાલો કર્યાં હતાં. કોંગ્રેસ તરફતી સવાલ કરવા ઉભા થયેલા વિક્રમ માડમને રોકવામાં આવ્યાં હતાં. આથી કોંગ્રેસના ધારાસભ્યો રોષે ભરાયા હતા. જેમાં જગદીશ પંચાલ અને પ્રતાપ દૂધાત બાખડી પડ્યા હતા, ત્યાર બાદ કોંગ્રેસ-ભાજપના ધારાસભ્યો વચ્ચે બેલ્ટ અને માઈક વડે મારામારી થતાં ગૃહ થોડીવાર માટે લડાઈનો અખાડો બની ગયું હતું.

No comments:

Post a Comment