Friday, March 9, 2018

ગાંધીજીના 'હરિજન' પત્રની સફર...

વર્ષ 1932ના જાન્યુઆરી માસમાં ગાંધીજીની ધરપકડ થયા બાદ 'યંગ ઈન્ડિયા' સામાહિક બંધ કરવામાં આવ્યું હતું. 'યંગ ઈન્ડિયા'નો છેલ્લો અંક 14 જાન્યુઆરી, 1933ના રોજ પ્રકાશિત થયો હતો. બાદમાં ગાંધીજીએ હરિજન (અંગ્રેજી) હરિજન બંધુ (ગુજરાતી), હરિજન સેવક (હિન્‍દી) સાપ્‍તાહિકો શરૂ કર્યા હતાં. આ તમામ સામાહિકો સમાચાર પત્રો નહીં પણ વિચાર પત્રો હતાં. આ સામહિકોનો હેતું સમાજમાં રહેલી કેટલીક બદીઓને દૂર કરવાનો હતો.

તસવીરઃ-Google Photo

હરિજન પત્રનો પ્રથમ અંક 11 ફેબ્રુઆરી, 1933ના રોજ આર્યભૂષણ પ્રેસ, પુનાથી બહાર પડ્યો હતો. હરિજનના પ્રથમ અંકની 10 હજાર નકલો છાપવામાં આવી હતી. જેમાં હરિજનો પર ટાગોરના બંગાળી કાવ્યનો અંગ્રેજી આનુવાદ છાપવામાં આવ્યો હતો. પ્રથમ અંકનો અગ્રલેખ અસ્પૃશિયતાના પ્રશ્નો ઉપર લખાયો હતો. આ સિવાય હરિજન પત્રમાં કોંગ્રેસની કોઈ રાજકીય ચળવળના સમાચાર છપાતા નહોતા, તેમાં માત્ર હરિજનોના પ્રશ્નો, ગ્રામોદ્યોગ અને કુટિર ઉદ્યોગો વિશે માહિતી જ છપાતી હતી.

હરિજનના પ્રથમ તંત્રી આર.વી. શાસ્ત્રી (રામચંદ્ર શાસ્ત્રી) હતાં, ત્યાર બાદ 13 એપ્રિલ, 1935ના રોજ મહાદેવભાઈ દેસાઈ તેના તંત્રી બન્યાં હતાં. વર્ષ 1940માં વ્યક્તિગત સવિનય કાનૂન ભંગની ચળવળ દરમ્યાન હરિજનના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેથી તેનું પ્રકાશન કાર્ય બંધ કરવામાં આવ્યું હતું.

હરિજનના પ્રકાશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો ત્યારે ગાંધીજીએ પોતાનો રદિયો આપતા કહેલું કે, "હરિજન પત્રએ વિચારોને પ્રગટ કરનારૂ પત્ર છે અને એ રીતે તે બીજાં સમાચારપત્રો કરતાં નિરાળું છે. હરિજન પત્ર પ્રજાને દર અઠવાડિયે અહિંસાના પાઠ શીખવે છે." ગાંધીજીએ વધુમાં લખ્યું હતું કે, "મારે એ જણાવવું જાઈએ કે હરિજનમાં બહારના કશાય દબાણ વિના છાપવા લાયક લખાણની પસંદગીની બાબતમાં હું અતિશય સંયમ જાળવું છું, વળી ભૂલોનો સ્વીકાર તથા તેને સુધારવા હું હંમેશા માટે તૈયાર હોવ છું એ તો સરકાર પણ જાણે છે."

Gandhi Harijan Work at Madras
તસવીરઃ-Google Photo

હરિજનના પ્રકાશન પર પ્રતિબંધ હોવા છતાં ફરી એકવાર 18 જાન્યુઆરી, 1942ના રોજ અમદાવાદના નવજીવન મુદ્રણાલયમાંથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પત્ર નવજીવન મુદ્રણાલયમાંથી સતત 5 માસ સુધી ચાલ્યું હતું. બાદમાં 21 ઓગસ્ટ, 1942ના રોજ ફરી એકવાર પ્રતિબંધ મૂકાતા તેનું પ્રકાશન કાર્ય બંધ કરવામાં આવ્યું હતું.

વર્ષ 1946ની 10મી જાન્યુઆરીના રોજ સરકારે પ્રતિબંધ હટાવી લીધો અને ત્યારબાદ 10 ફેબ્રુઆરીના 1946ના રોજ પ્યારેલાલના તંત્રીપણા હેઠળ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. આ પત્ર 10 ફેબ્રુઆરી, 1948 સુધી પ્યારેલાલના તંત્રીપણા હેઠળ ચાલ્યું, ત્યાર બાદ કિશોરલાલ મશરૂવાળા અને છેલ્લે મગનભાઈ દેસાઈએ હરિજન પત્રનું તંત્રીપદ સંભાળ્યું હતું. હરિજન પત્રનું પ્રકાશન વર્ષ 1956ના માર્ચ મહિનામાં બંધ કરી દેવામાં આવ્યું હતું.

Mahatma Gandhi,Gandhiji, mk Gandhi,Gandhi Harijan Magazine,Navajivan press, ગાંધીજીનું 'હરિજન' પત્ર,

વધુ જાણવા માટે.......

સંદર્ભઃ ગાંધીજીનું સાહિત્ય, રમણ મોદી-1971


ડિઝાઈન તસવીર


ડિઝાઈન તસવીર


No comments:

Post a Comment