Thursday, March 8, 2018

ગુજરાત પર તોળાતું જળસંકટ

ગુજરાતમાં ચાલુ વર્ષે નર્મદા ડેમને પાણીની આવક બહુ ઓછી બચી છે. તેથી ગુજરાતને ડેમમાં રહેલ કુલ પાણીના જથ્થામાંથી માત્ર 40% જેટલું જ પાણી મળ્યું હતું. સરકારે નર્મદા ડેમનું પાણી 15 માર્ચન બાદ સિંચાઇ માટે નહીં આપવાની અગાઉથી જાહેરાત કરી અને ખેડૂતોને ઉનાળુ પાક ન લેવા સૂચન પણ કર્યું હતું, પરંતુ હવે સરકાર પોતાના આ નિર્ણય પર બે બાજુ ઢોલકી વગાડી રહી છે. સરકાર કહે છે, રાજ્યના ચાર જિલ્લા પૈકી સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમદાવાદના ખેડૂતોને સિંચાઈ માટે મળવા પાત્ર પાણી નહીં મળે.

તસવીરઃ- Google Photo
ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, રૂપાણી સરકારે અગાઉ 12 જાન્યુઆરીના રોજ એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને આગામી 15 માર્ચ સુધી ખેતીની સિંચાઈ માટે પાણી આપવામાં આવશે, પરંતુ હવે સરકાર પોતાના નિર્ણય પર ધ્યાન ન આપતા પાણી બંધ કરવાની વાત કરી રહી છે. વાયર હિન્દી ન્યુઝ એજન્સીએ આ બાબતે અગાઉ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેમાં ગુજરાત સરકારે 15 ફેબ્રુઆરી બાદ રાજ્યના ચાર જિલ્લા પૈકી સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમદાવાદના ખેડૂતોને સિંચાઈ માટે મળવા પાત્ર પાણી નહીં મળે, તેવી વાત કરી હતી. 

જો ખરેખર આવું થયું તો એ ખેડૂતોવું  શું થશે, જેમણે રાજ્ય સરકાર પર વિશ્વાસ મૂકી નર્મદાના પાણીને ભરોસે રવિપાકનું વાવેતર કર્યું હતું? એક તરફ સરકાર સરદાર સરોવર ડેમની સપાટી વધારવા પર ગર્વ કરી રહી છે તો, બીજી તરફ ઈતિહાસમાં પહેલી વખત ડેમની જળ સપાટી 110.37 મીટરથી નીચી જતી રહી છે. આ સમગ્ર બાબતે નર્મદા જિલ્લાના ખેડૂતોએ આંદોલન પણ કર્યું હતું, પરંતુ ખેડૂતોનું આ આંદોલન વ્યર્થ ગયું છે.

આમ, હાલમાં સરદાર સરોવર ડેમની જળ સપાટી સતત ઘટી રહી છે. જેથી રાજ્ય સરકાર ડેમની જળ સપાટીને લઈને સતત ચિંતામાં છે. નોંધનીય છે કે, ગત 21 ફેબ્રુઆરી સુધીમાં નર્મદા ડેમની 110.37 મીટરથી નીચે જતી રહી છે, એટલે કે નર્મદા ડેમ પૂર્ણ જળાશય કરતા 28.17 મીટર ખાલી છે. એક તરફ ડેમમાં પાણીની સપાટી ઘટતા બંને પાવર હાઉસ બંધ કરી દેવામાં આવ્યાં છે, જ્યારે કેનાલ હેડ પાવર રેગ્યુલેટરના બંને યુનિટ પણ બંધ કરી દેવાની ફરજ પડી છે. આમ, નર્મદા નદી હવે સુકાઈ શકે છે. હવે નર્મદા નદી એક રેલા સ્વરૂપે વહે તો નવાઈ નહીં.

તસવીરઃ- Google Photo
જો ખેડૂતોને રવિપાક પાકની સિંચાઈ માટે પાણી નહીં મળે તો, ઘણા ખેડૂત પરિવાર પર આપત્તિ આવી શકે છે. સરકારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતવા અને સત્તા મેળવવાની તાલાવેલીમાં ખેડૂતોને નજરઅંદાજ કર્યા છે. આવું કરી સરકારની ગુનાહીત બેદરકારી સામે આવી છે. આ સિવાય નર્મદા નામે વારંવાર રાજકારણ ખેલતી સરકાર આજ દીન સુધી કેનાલોનું નેટવર્ક પણ પુરું કરી શકી નથી. સરકારના ગેરવહીવટને લીધે રાજ્યમાં રહેલી હયાત કેનાલોમાં પણ વારંવાર ગાબડા પડી રહ્યાં છે.

નર્મદા ડેમની ઉંચાઈ માટે ગ્લોબલ પ્રચાર કરતી સરકારે બનાસકાંઠા જેવાં પછાત અને સૂકા વિસ્તારોમાં પણ કેનાલનું રીપેરીંગ કરાવ્યું નથી. જો રવિપાક માટે ખેડૂતોને પાકની સિંચાઈ માટે પાણી નહીં મળે, તો ફરી એકવાર ખેડૂતોએ આત્મહત્યા કરવા મજબૂર થવું પડશે. રાજ્યમાં એવા કેટલાંય ખેડૂત પરિવારો માત્ર રવિપાકો પર પોતાનું જીવન ધોરણ ચલાવે છે, જો આ ખેડૂતોનો રવિપાક સુકાઈ ગયો, તો તેની સીધે સીધે અસર ખેડૂત પરિવાર પર થશે.

Water Crisis in Gujrat, Sardar Sarovar, Narmada Dam, Gujarat, જળસંકટ, ગુજરાતમાં જળસંકટ,

No comments:

Post a Comment