Friday, March 9, 2018

ગાંધીના 'હરિજન' પત્રના પ્રથમ તંત્રી રામચંદ્ર શાસ્ત્રી



"સંપૂર્ણ ભોગ વિના ત્યાગ શક્ય નથી."- રામચંદ્ર શાસ્ત્રી

વર્ષ 1932માં ગાંધીજીની ધરપકડ થયા બાદ 'યંગ ઈન્ડિયા' સામાહિક બંધ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ગાંધીજીએ હરિજન (અંગ્રેજી) હરિજન બંધુ (ગુજરાતી), હરિજન સેવક (હિન્‍દી) એમ ત્રણ સાપ્‍તાહિકો શરૂ કર્યા હતાં. આ સામાહિકો સમાચાર પત્રો નહીં પણ વિચાર પત્રો હતાં. આ સામહિકોનો મુખ્ય હેતું સમાજમાં રહેલી બદીઓને દૂર કરવાનો હતો. હરિજન (અંગ્રેજી) પત્રનો પ્રથમ અંક 11 ફેબ્રુઆરી, 1933ના રોજ આર્યભૂષણ પ્રેસ, પુનાથી બહાર પડ્યો હતો. હરિજનના પ્રથમ અંકની 10 હજાર નકલો છાપવામાં આવી હતી. જેમાં હરિજનો ઉપર ટાગોરના બંગાળી કાવ્યનો અંગ્રેજી આનુવાદ છાપવામાં આવ્યો હતો. પ્રથમ અંકનો અગ્રલેખ અસ્પૃશિયતાના પ્રશ્નો ઉપર લખાયો હતો. આ હરિજન પત્રના પ્રથમ તંત્રી આર.વી. શાસ્ત્રી હતાં. તેઓ મૂળ મદ્રાસના સામાજીક કાર્યકર્તા અને સ્વાતંત્ર્ય સેનાની હતાં. તેઓ અસહકારની ચળવળના ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયાં હતાં.  

તસવીરઃ- Goole Photo
આર.વી. શાસ્ત્રીનું પુરૂ નામ રામચંદ્ર શાસ્ત્રી હતું. તેઓ મૂળ મદ્રાસના રહેવાસી હતાં. શાસ્ત્રીજીની બીજી એક ઓળખ એ છે કે, તેઓ શાસ્ત્રીય સંગીતકાર અને નૃત્યાંગના કમલા ચક્રવર્તીના પિતા હતાં. જેમણે મહાત્મા ગાંધીના સુધારાવાદી હરિજન પત્રમાં સંપાદન કાર્ય કર્યું હતું.

કમલા ચક્રવર્તી

શાસ્ત્રીજીએ શરૂઆતમાં ઠક્કરબાપા સાથે કામ કર્યું હતું. ઠક્કરબાપાના મતે શાસ્ત્રીજી ઊંચી કેળવણી અને હિંદ સેવક સમાજના એક કર્મશીલ પુરૂષ હતાં. તેઓના લગ્ન એક સંસ્કારી મહિલા સાથે થયેલા. શાસ્ત્રીજીએ સતત 11 વર્ષ સુધી કૌટુંબિક જીવન જીવ્યું હતું. તેમને ચાર સંતાનો હતાં. તેઓએ આઝાદીની લડાઈ દરમ્યાન એક વર્ષ સેલોનિકા અને એક વર્ષ મેસોપોટેમિયામાં જેલ ભોગવી હતી, ત્યાર બાદ તેઓનો પરિચય એક નિવૃત આઈ.સી.એસ. સાથે થયો હતો. શાસ્ત્રીએ નિવૃત આઈ.સી.એસ. સાથે થોડોક સમય વેપાર પણ કર્યો. બાદમાં ઉપવાસથી જાગૃત થઈને વિલાસી જીવનનો ત્યાગ કર્યો હતો. 

શાસ્ત્રીજી જીવન વિશે માનતા કે, "સંપૂર્ણ ભોગ વિના ત્યાગ શક્ય જ નથી." આમ, આવા વિચાર સાથે તેઓએ પોતાનું જીવન લોકોને મદદ કરવામાં વિતાવ્યું હતું. શાસ્ત્રી પોતાની પત્ની વિશે વાત કરતા લખે છે કે, "મારી પત્ની મને વિલાસી જીવન છોડી બીજા લોકોને ઉપયોગી થવાનું કહી રહી છે." શાસ્ત્રીજીએ ભારત સેવક સંઘમાં જોડાવવા માટે એક અરજી પણ કરેલી. આમ, તેઓ સેવાના કાર્યમાં જોડાવા માંગતા હતાં. શાસ્ત્રીજી પોતે તામિલ, હિંદી, બંગાળી અને અંગ્રેજી એમ ચાર ભાષાઓ જાણતા અને સમજી શકતા હતાં. શાસ્ત્રીજીના વ્યક્તિત્વની સૌથી વધુ છાપ મહાદેવભાઈ દેસાઈ પર પડેલી. ગાંધીજીને પણ શાસ્ત્રીજીના કામ પર પુરેપુરો વિશ્વાસ હતો. ગાંધીજી પોતાના પત્રોમાં આર.વી. શાસ્ત્રીને ' હરિજન' શાસ્ત્રી એવી ઓળખાણ આપે છે. આ સિવાય ગાંધીજીને શાસ્ત્રીના કૌટુંબિક જીવન વિશે વારંવાર ચિંતા થતી હતી.

શાસ્ત્રીજી વિશે જણાવતાં મહાદેવ દેસાઈએ પોતાની ડાયરીમાં લખ્યું છે કે, "શાસ્ત્રીની સાદાઈ અને સીધાપણાની મારા પર સારી એવી છાપ પડી હતી." મહાદેવભાઈએ વધુમાં લખ્યું છે કે, "મને વારંવાર એવું લાગતું કે શાસ્ત્રીને સાથે લઈ બાપુ (ગાંધીજી)એ જાળમાં એક નવું માછલું પકડ્યું છે, જોકે એ કહેવું સહેલું ગણાય કે શાસ્ત્રીનું વ્યક્તિત્વ બીજામાં લીન થઈ જાય એવું લાગતું નથી." શાસ્ત્રીજીને ગાંધીજી પાસેથી શું મળ્યું તેના વિશે જણાવતાં મહાદેવભાઈ નોંધે છે કે, "બાપુના વિચાર ગર્ભમાંથી ફલિત થતા વધારાના કથનને સાબિત કરવાની ગાંધીજીની રીતનો પાઠ શાસ્ત્રીને મળ્યો હતો." 

શાસ્ત્રીજીના પરિવારમાં સતત બિમારી પશ્નો રહેતા હતાં. જેથી શાસ્ત્રીને હરિજનમાં કામ કરવાની ઈચ્છા હોવા છતાં વારંવાર મદ્રાસ જવું પડતું હતું. આ સિવાય ગાંધીજીના સંપર્કમાં આવેલી 'નીલા' નામની મહિલાને સંબંધ વિશે વાત કરતા શાસ્ત્રીજી કહે છે, "તે તારો ભૂતકાળ ભૂલાવી દીધો હોય, તો એ ભૂતકાળમાં સંબંધ રાખનાર વ્યક્તિની ભેટ પણ ન જ સ્વીકારાય." 

રામચંદ્ર શાસ્ત્રીનું પત્રકારત્વ


હરિજન પત્ર ચાલું કરતા પહેલા ગાંધીજીએ ઘનશ્યાદાસ બિરલા સાથે એક પત્ર દ્વારા ચર્ચા કરી હતી. જેનો જવાબ આપતાં બિરલાએ હરિજનના સંપાદન માટે શાસ્ત્રીને પગાર આપવા પર વાત કરી હતી. આ સિવાય ઠક્કરબાપા, દેવધર વેઝ અને ગાંધીજી હરિજનનું સંપાદન કાર્ય શાસ્ત્રીને સોંપવા પર ચર્ચા કરતા હતાં, બાદમાં ગાંધીજીએ શાસ્ત્રી સાથે મુલાકાત કરી સંપાદન કાર્ય માટે કેટલીક દરખાસ્તો મુકી હતી. શાસ્ત્રીએ પણ ગાંધીજીની તમામ દરખાસ્તો સ્વીકારી સંપાદન કાર્ય શરૂ કર્યું હતું. 

હરિજન પત્રનો બંધારણીય મુસદ્દો અને પત્રના નિયમો શાસ્ત્રીજીએ જ તૈયાર કર્યાં હતાં. ગાંધીજીએ મીરાબહેનને એક પત્રમાં લખ્યું છે કે, મને હરિજન પત્ર માટે એક સરસ-તંત્રી અને એટલા જ સરસ વ્યવસ્થાપક શાસ્ત્રીજીના રૂપમાં મળી ગયાં છે. આમ, 11 ફેબ્રુઆરી, 1933ના રોજ આર.વી. શાસ્ત્રીના તંત્રીપણા હેઠળ હરિજન (અંગ્રેજી) પત્રનો પ્રથમ અંક આર્યભૂષણ પ્રેસ, પુનાથી બહાર પડ્યો હતો. 

હરિજન પત્રમાં ગાંધીજી અને મહાદેવભાઈ કૉલમ લખતા અને શાસ્ત્રીજી સૂચના પ્રમાણે સંપાદન કરતાં હતાં. શાસ્ત્રીજીના સંપાદન કાર્ય વિશે ગાંધીજીનું માનવું હતું કે, "હરિજન પત્ર માટે આવતાં લેખોનું સંપાદન કરી શાસ્ત્રી પણ મૌલિક લેખો લખતા થઈ જશે." બાદમાં ગાંધીજીની વાત સાચી પડી અને શાસ્ત્રીજી પણ હરિજનમાં "વીક ટુ વીક" નામની કૉલમ લખતાં થયાં. આ ઉપરાંત પત્રનું ટાઈપિંગ પણ શાસ્ત્રીજી પોતાના હાથે જ કરતાં હતાં અને ગાંધીજીને પણ શાસ્ત્રીના કામથી સદાય સંતોષ રહેતો હતો.

ડિઝાઈન તસવીર

શાસ્ત્રીજી પોતે લખાણ વિશે માનતા કે, "કોઈ પણ લખાણમાં અતિશય સંક્ષેપીકરણ ન હોવું જોઈએ, લખાણ હંમેશા સામાન્ય વાચકને સમજાય તેવું હોવું જોઈએ."

ગાંધીજી પોતાના અને શાસ્ત્રીની લખણ વિશે નોંધે છે કે, "અમે બંને અમારા લખાણથી સમાજ સુધી પહોંચી શકીએ છીએ, આથી અમારા બંને વચ્ચેનો પ્રેમ સમાજ સુધી પહોંચી શકશે." સતીષબાબુ નામના એક વ્યક્તિએ શાસ્ત્રીજીને હરિજન સામાહિકના લખાણ વિશે સમજાવતાં કહ્યું છે કે, "શાસ્ત્રીજી તમારે સમગ્ર પશ્નનો અભ્યાસ કરી મહત્વનું હોય તે જ છાપવું જોઈએ, આવું છાપવાથી આપણે માણસોનું કલ્યાણ કરીશું."

મહાદેવભાઈએ 1933માં લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, "હરિજન પત્રના મુખ્ય તંત્રી હાલમાં પથારીવશ થયાં છે, તેઓ માંદગીની રજા લઈ મદ્રાસ ગયાં છે." આમ, શાસ્ત્રીજી બિમારીનો ભોગ બન્યાં, ત્યારે હરિજન પત્રની નિયમિતતા જાળવવા પત્રને મદ્રાસથી પ્રકાશિત કરતાં હતાં. આમ, થોડો સમય હરિજન પત્ર મદ્રાસથી પ્રકાશિત થયું હતું.

Keywords: RV Shastri, Ramchandra Shastri, Ramchandra Shastri the first editor of  Harijan Magazine, RV Shastri first editor of  Harijan Magazine,રામચંદ્ર શાસ્ત્રી, હરિજન પત્ર,આર.વી. શાસ્ત્રી,



'હરિજન' પત્રને જુઓ લિંક પર.....
https://issuu.com/navajivantrust/docs/harijan_info_brochure

સંદર્ભ-સૂચિઃ-


1) ગાંધીજીના અક્ષર દેહ
     અક્ષર દેહ- 53,
     અક્ષર દેહ- 54,
     અક્ષર દેહ- 55,
     અક્ષર દેહ- 56,
     અક્ષર દેહ- 60

2) મહાદેવભાઈની ડાયરી (પુસ્તક) - 3


3) Welfare Of Schuduled Castes In India

     - Anil Bhardwaj 

4) Social And Political Thought Of Mahatma Gandhi

     - Bidyut Chakrabarty

No comments:

Post a Comment