Friday, March 30, 2018

એક ક્રાન્તિકારી પત્રકાર શ્યામજી કૃષ્ણ વર્મા


ક્રાંતિવર્ષ 1857ની 4 ઓક્ટોબરે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કચ્છના માંડવીમાં થયો હતો. તેમણે મુંબઈ અને વિલાયતમાં અભ્યાસ કરી ત્યારબાદ વકીલાત શરૂ કરી હતી. લંડનમાં તેમણે ઈન્ડિયા હાઉસ નામની સંસ્થા સ્થાપી હતી, જ્યાં ભારતથી જતા ક્રાંતિકારીઓની મુલાકાત ગોઠવાતી હતી. આ મુલકાતોમાં ભારતની આઝાદીની રૂપરેખા ઘડાતી હતી. તેમણે વર્ષ 1905માં 'ઈન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કરી હતી.

તસવીરઃ- Google Photo

 શ્યામજી કૃષ્ણ વર્મા એક કાંતિકારીની સાથે સાથે પત્રકાર પણ હતાં. તેમણે 'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' નામનું સામાયિક ચલાવ્યું હતું. આ સામાયિકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની આઝાદીનો હતો. 'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' સામાયિક મિશનરી પત્રકારત્વનો એક મહત્વનો ભાગ ગણાય છે. આ સામાયિક હંમેશા આઝાદી માટેની લડતના અહેવાલો પ્રકાશિત કરતું હતું. શ્યામજી વર્માના પત્રકારત્વ વિશે સૌથી સારૂ કામ ગુજરાતના જાણીતા પત્રકાર ડૉ. વિષ્ણુ પંડ્યાએ કર્યું છે. વિષ્ણુ પંડ્યાએ શ્યામજી વર્માના પત્રકારત્વ પર Ph.D. કરી 'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' સામાયિકનો એક સંગ્રહ ગ્રંથ તૈયાર કર્યો છે. જેમાં વર્માના તમામ વિચારો પ્રગટ થાય છે. આ ગ્રંથમાં વર્માના પત્રકારત્વના મુલ્યો જાણવા મળે છે.

તસવીરઃ- Google Photo

શ્યામજી વર્માનું વર્ષ 1930માં સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં અવસાન થયું હતું. વર્માએ પોતાના અવસાન વખતે એક ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની ઈચ્છા હતી કે, જ્યારે ભારત દેશ આઝાદ થાય ત્યારે મારા અસ્થિ આઝાદ ભારતની માતૃભૂમિ પર પધરાવશો, પરંતુ આઝાદી બાદ આખો દેશ શ્યામજી વર્માને ભુલી ગયો. છેક 50થી વધુ વર્ષ બાદ વર્ષ 2003માં ગુજરાતના તત્ત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી મૃત વર્માના અસ્થિ લેવા જીનીવા ગયાં અને અસ્થિ લઈ પરત આવ્યા, પરત આવેલા વર્માના અસ્થિને સમગ્ર ગુજરાતમાં ફેરવવામાં આવ્યાં, ત્યારબાદ શ્યામજી વર્મા અને તેમના પત્ની ભાનુમતિ વર્માના અસ્થિ પોતાના વતન માંડવીમાં રાખવામાં આવ્યાં જ્યાં ક્રાંતિતીર્થ નામનું એક સ્મારક બનાવાવામાં આવ્યું છે. જે લંડનમાં રહેલા ઇન્ડિયા હાઉસ જેવું જ છે. જ્યાં શ્યામજી વર્મા રહ્યા હતા.


No comments:

Post a Comment