Thursday, March 29, 2018

આ છે દુનિયાની સૌથી નાની નોબલ વિજેતા


નોબલ પારિતોષિક વિજેતા મલાલા યૂસૂફાજઈ 6 વર્ષ બાદ પ્રથમ વખત પોતાના દેશ પાકિસ્તાનમાં પરત ફરી છે. આ એ જ મલાલા છે, પાકિસ્તાન જેવા દેશમાં છોકરીઓના શિક્ષણના અધિકારો માટે લડી રહી છે.

તસવીરઃ- Google Photo

કોણ છે મલાલા?

મલાલાનો જન્મ 1997માં પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં થયો હતો. મલાલાના પિતાનું નામ જિયાઉદ્દીન યુસુફજઈ છે. વર્ષ 2007થી 2009 સુધી સ્વાત ઘાટી પર તાલિબાનોએ કબ્જો કર્યો હતો. બાદમાં તાલિબાનના ભયથી છોકરીઓએ સ્કૂલ જવાનું બંધ કરી દીધું. તે સમયે મલાલા ધોરણ-8માં અભ્યાસ કરતી હતી. મલાલાનો સંઘર્ષ એ ક્ષણેથી શરૂ થયો. વર્ષ 2008માં તાલિબાને સ્વાત ખીણમાં પોતાનું નિયંત્રણ લાદી ડાન્સ અને બ્યુટી પાર્લર પર પ્રતિબંધ મૂકી દીધો. આમ, વર્ષના અંત સુધીમાં આશરે 400 સ્કૂલો બંધ થઈ ગઈ. ત્યાર બાદ મલાલાના પિતા જિયાઉદ્દીન મલાલાને પેશાવર લઈ ગયા, જ્યાં મલાલાએ માત્ર 11 વર્ષની વયે નેશનલ પ્રેસ સાથે વાત કરતાં જાણીતું  "હાઉ ડેયર ધ તાલિબાન ટેક અવે માય બેસિઝ રાઇટ ટુ એજ્યુકેશન?" વિષય પર ભાષણ આપ્યું.

મહત્વનું છે કે, જ્યારે મલાલા માત્ર 11 વર્ષની હતી, ત્યારે વર્ષ 2009માં મલાલાએ પોતાના‘ગુલ મકઇ’થી BBC ઉર્દૂ માટે એક ડાયરી લખી. આ ડાયરીમાં મલાલાએ સ્વાતમાં તાલિબાનના કૃત્યોનું વર્ણન કર્યું. BBC ઉર્દૂ માટે ડાયરી લખવાના કારણે મલાલા પ્રથમ વખત દુનિયાની નજરમાં આવી હતી. બાદમાં ડિસેમ્બર, 2009માં પિતા જિયાઉદ્દીને પોતાની દિકરી મલાલાની ઓળખ સાર્વજનિક કરી, જ્યારે મલાલાની ઉંમર 15 વર્ષની હતી. તે બાદ 9 ઓક્ટોબર, 2012ના રોજ સ્વાત ઘાટીમાં કેટલાંક આતંકીઓએ મલાલાની સ્કૂલ બસ ઉપર હુમલો કર્યો. આ હુમલામાં મલાલાને માથાના ભાગમાં ગોળી વાગી હતી. 

તસવીરઃ- Goodle photo

આ હુમલોની જવાબદારી તહરીક એ તાલિબાન-પાકિસ્તાનીએ સ્વીકારી હતી અને કહ્યું હતું કે, મલાલા 'પશ્ચિમ દેશો તરફી છે અને પશ્તો વિસ્તારમાં પશ્ચિમી સંસ્કૃતિનો ફેલાવો કરી રહી છે. મલાલાને પાકિસ્તાનની અર્મી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, ત્યાર બાદ વધુ સારવાર માટે મલાલાને ઇંગ્લૅન્ડના બર્મિંગહામમાં ખસેડવામાં આવી હતી. આમ, મલાલાએ આંતરરાષ્ટ્રીય ફલક પર લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. મલાલા સ્વસ્થ થઈ ત્યારે "આંતરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર", વર્ષ 2011માં પાકિસ્તાનનો "રાષ્ટ્રીય યુવા શાંતિ પુરસ્કાર" મેળવ્યો હતો. આ સિવાય કેટલાંય નાના-મોટા પુરસ્કારોથી મલાલાને સન્માનિત કરવામાં આવી. વર્ષ 2012માં દુનિયાના સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓમાં પાકિસ્તાનની બહાદુર મલાલાનું નામ આવ્યું હતું. આ ઉપરાંત છોકરીઓના શિક્ષણના અધિકાર માટે લડનાર સાહસિક મલાલાની બહાદુરી માટે સંયુક્ત રાષ્ટ્રે મલાલાના 16મા જન્મદિવસ પર એટલે કે, 12 જુલાઈને "મલાલા દિવસ" જાહેર કર્યો છે. 

તસવીરઃ- Google Photo

વર્ષ 2014માં મલાલાને "નોબલ પારિતોષિક"થી સન્માનિત કરવામાં આવી. આથી તે નોબલ પ્રાઈઝ મેળવનાર વિશ્વની સૌથી નાની અને પ્રથમ પાકિસ્તાની નાગરિક બની. આ શાંતિ માટેનો નોબલ પારિતોષિક ભારતમાં બાળકોના અધિકારો માટે લડતાં કૈલાસ સત્યાર્થી અને મલાલા એમ બંનેને સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો. વર્ષ 2013માં મલાલાને યુરોપિયન યુનિયનો પ્રતિષ્ઠિત 'શૈખરોવ માનવાધિકાર પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવી.

તસવીરઃ- Google Photo

નોંધનીય છે કે, મલાલા પોતાના માતા-પિતા સાથે બર્મિંગહામમાં રહે છે. મલાલા હાલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. તે વિશ્વભરમાં બાળ શિક્ષા અને અધિકાર માટે એક ચળવળ ચલાવી રહી છે. આ સિવાય મલાલાએ પોતાના પિતા જિયાઉદ્દીન સાથે મળીને "મલાલા ફંડ"ની સ્થાપના કરી, જે ફંડ બાળકીઓના શિક્ષણ માટે પ્રચાર-પ્રસાર કરવાનું કામ કરી રહ્યો છે. ગત વર્ષે કેનેડાના પ્રવાસે ગયેલી મલાલાએ કેનેડાની સંસદને પણ સંબોધિ હતી.

ગત વર્ષે મલાલાએ જીન્સ અને હાઈ હિલ સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેના લીધે મલાલા પાકિસ્તાનમાં ટ્રોલ થઈ હતી. મલાલા પોતાના વતન પાકિસ્તાનમાં પરત ફરવાની અનેકવાર ઈચ્છા વ્યક્ત કરી ચૂકી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં મલાલાએ પાકિસ્તાનમાં આવેલા પોતાના વતન સ્વાત ખીણપ્રદેશને 'ધરતી પરનું સ્વર્ગ' ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મલાલાએ 2018ના જાન્યુઆરીમાં દાવોસમાં આયોજીત વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, મને વિશ્વાસ છે, "હું એક દિવસ પોતાના વતન પાકિસ્તાનમાં ચોક્કસ પરત ફરીશ અને મારા દેશને જોઇશ."

No comments:

Post a Comment