ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના ધોરણ-12ના અંગ્રેજી માધ્યમના સંસ્કૃત વિષયના પુસ્તકમાં "રામે સીતાનું હરણ કર્યું" હોવાની ગંભીર ભૂલ જોવા મળી હતી. આ મોટી ભૂલને સુધાર્યાં બાદ વિવાદ શાંત થયો છે, ત્યારે હવે ધોરણ-10ના ગુજરાતી વિષયના પુસ્તકમાં ‘ચાંદલિયો’ લોકગીત જ ખોટું છપાયું હોવાની વિગતો સામે આવી છે.
ગુજરાતી વિષયના પુસ્તકમાં ‘ચાંદલિયો’ લોકગીત જ ખોટું છે. ખાસ વાત એ છે કે, આ ભૂલ યુક્ત ‘ચાંદલિયો’ લોકગીતમાંથી જ તાજેતરમાં લેવાયેલી ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં એક વૈકલ્પિક પ્રશ્ન પૂછાયો હતો. જેના ચારેય વિકલ્યો ખોટા દર્શાવવામાં આવ્યાં હતાં. આ પુસ્તકમાં ‘ચાંદલિયો’ લોકગીતની એક પંક્તિમાં એવું લખાયું છે કે,
‘જેઠ મારો ચાંપલિયાનો છોડ જો, દેરાણી ચાંપલિયા કેરી પાંદડી,
નણંદ મારી વાડી માયલી વેલ્ય જો, નણદોઇ મારો વાડી માયલો મોરલો’,
આ ખોટી પંક્તિમાં મહત્ત્વની વાત એ છે કે, લોકગીતની આખી પંક્તિ જ ખોટી છપાઈ છે. આ અંગે ગુજરાતી ભાષાના નિષ્ણાંતોના મુજબ, આ ખોટી પંક્તિની જગ્યાએ ખરેખર સાચી પંક્તિમાં કંઈક લખવું સાચું ગણાય,
‘જેઠ મારો અષાઢિલો મેઘ જો, જેઠાણી ઝબૂકે વાદળ વીજળી,
દેર મારો ચાંપલિયાનો છોડ જો, દેરાણી ચાંપલિયા કેરી પાંદડી’
આમ, પાઠ્યપુસ્તક મંડળ દ્વારા લોકગીત છાપવામાં વચ્ચેની પંક્તિઓ ખાઈ ગ્યાં છે. આશ્ચર્ય તો ત્યારે થાય જ્યારે બોર્ડના એક્સપર્ટ શિક્ષકોએ જે પેપર કાઢ્યું હતું. તેમાં પણ ભૂલ ભરેલા લોકગીતમાંથી જ પ્રશ્ન પૂછાયો હતો. આ પ્રશ્નના તમામ વિકલ્પ ખોટા દર્શાવાયા હતા. હાલમાં તો રાજ્યમાં ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે. જેમાં ગુજરાતી વિષયમાં એક લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયાં છે. આ બાબતે પાઠ્યપુસ્તક મંડળ કહે છે કે, પુસ્તકની નવી આવૃત્તિમાં આનો સુધારો કરી દેવાયો છે. આ અંગે પરીક્ષા સચિવનું કહેવું છે કે, એક જેવા સાચા જવાબો આવતા હોય, તેમાં પરીક્ષા બોર્ડ દ્વારા ગુણ આપી દેવાયા છે.
સીતાનું અપહરણ કોણે કર્યું?
ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના ધોરણ-12ના સંસ્કૃત વિષયના પુસ્તકમાં છાપવામાં આવ્યું છે કે, સીતાનું હરણ રાવણે નહી પણ ભાગવાન શ્રીરામે કર્યું હતું!
![]() |
Pic courtesy: @Indiatoday |
‘Introduction to Sanskrit Literature’ નામના પુસ્તકમાં પાના નંબર-106 ઉપરના એક ફકરામાં લખ્યું છે કે, ‘કવિએ રામના પાત્રનું સુંદર આલેખન કર્યું છે. ‘રામે’ કરેલા સીતાના અપહરણની હૃદયસ્પર્શી રજૂઆત લક્ષ્મણે રામને કરી છે.’ આ પુસ્તકમાં આ પ્રકારની અસંખ્ય ભૂલો જોવા મળે છે. આ ભૂલનો શિકાર માત્ર અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ જ બન્યાં છે, કારણ કે ગુજરાતી માધ્યમના સંસ્કૃત પુસ્તકમાં કાલિદાસે લખેલી ‘રઘુવંશમ’નો ફકરો સાચો જ છપાયો છે.
નોંધનીય છે કે, વર્ષ 2014માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ‘એરર ટેરર’ નામનું એક ભાષા સુધારો અભિયાન ચલાવ્યું હતું. જેમાં ધોરણ-6થી ધોરણ-8ના પુસ્તકોમાંની ભૂલો શોધી કાઢી હતી. જેમ કે, ‘જાપાને અમેરિકા પર ન્યૂક્લિયર બોમ્બ ફેંક્યો હતો’ અને ‘કૂતુબ મિનાર શહેરનું નામ છે.’ આ અંગે GCERTને તાત્કાલિક ભૂલો સુધારી આ પુસ્તકોની 3 જેટલી સુધારેલી આવૃત્તિ બહાર પાડી હતી.
ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયનું પરિણામ
ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, ત્યારે આ વખતે ગુજરાતી માધ્યમના 1,06678 વિદ્યાર્થી ગુજરાતી પ્રથમ ભાષાના વિષયમાં નાપાસ થયા છે. એટલે કે દર વર્ષની જેમ આ વખતે પણ એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં નાપાસ થયાં છે. આ સિવાય પરિણામની પરિણામમાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં પણ સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ થયા છે.
એક તારણ મુજબ, ગુજરાતમાં ધોરણ-10ની પરીક્ષામાં દર વર્ષે લગભગ 2 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જ નાપાસ થાય છે, ગુજરાતી વિષયની 6,99,646 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,92,968 વિદ્યાર્થી પાસ થયા છે. આમ, 84.75 ટકા પરિણામ આવ્યું છે.
નોંધનીય છે કે, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ મોટી સંખ્યામાં નાપાસ હોવાથી સરકારે ગુજરાતી ભાષાને સ્કૂલ-કોલેજમાં ફરજિયાત કર્યો છે. તેમ છતાં ગજુરાતી વિષયમાં 1 લાખથી વધુ વિદ્યાર્થી નાપાસ થયા છે.
No comments:
Post a Comment