Saturday, March 24, 2018

વાંદરાના હાથમાં તલવાર, રાજ્યસભામાં એક પક્ષની બહુમતી દેશ માટે ખતરો?

રાજ્યસભાની ચૂંટણીમાં જબરસ્ત જીત બાદ યુપીના CM યોગી આદિત્યનાથે SP-BSP ગઠબંધનને અવસરવાદી ગઠબંધન ગણાવ્યું છે. યુપીમાં 10 રાજ્યસભાની બેઠક માટે શુક્રવારે મતદાન થયું હતું. જેમાં ભાજપના 8 ઉમેદવારોની જીત પક્કી હતી, પરંતુ ભાજપે અનિલ અગ્રવાલના રુપમાં 9મા ઉમેદવારને ઉતારી આ ચૂંટણીને વધારે રોચક બનાવી દીધી હતી. ભાજપે અમુક ધારાસભ્યોના ક્રોસ વોટિંગ મેળવી અનિલ અગ્રવાલને જીતાડી લીધા છે. જેથી BSPના ભીમરાવ આંબેડકરની હાર થઈ છે. 

તસવીરઃ- Google Photo

રાજ્યભાની ચૂંટણીમાં સૌની નજર ઉત્તર પ્રદેશ પર હતી. જેમાં યુપીમાં રાજ્યસભાની કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકોની જગ્યાએ 9 બેઠકો પર ભાજપે જીત મેળવતાં ફરી એકવાર અમિત શાહની કૂટનીતિ ભાજપ માટે રંગ લાવી છે. નોંધનીય છે કે, અગાઉ ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં કરારી હાર બાદ ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં SP-BSPને મોટો ફટકો આપ્યો છે. હવે BSPનો રાજ્યસભામાં એક પણ સાંસદ બચ્યો નથી. આમ, ભાજપે મોટો દાવ ખેલી રાજ્યસભામાં પણ પોતાના સભ્યોની સખ્યાંમાં સતત વધારો કર્યો છે.

હાલમાં ભાજપ ભારતીય ઈતિહાસમાં પહેલીવાર રાજ્યસભામાં સૌથી મોટો પક્ષ બની ગયો છે. છેલ્લા 38 વર્ષના ઈતિહાસમાં રાજ્યસભામાં ભાજપના પ્રથમવાર 72 સભ્યો થયા છે, જ્યારે દેશનો સૌથી જુનો અને મુખ્ય વિરોધ પક્ષનો ભાગ ભજવતો કોંગ્રેસ પક્ષ હવે 50 સભ્યોમાં સમેટાઈ ગયો છે. મહત્વનું છે કે, વર્ષ 1980માં ભાજપની સ્થાપના થઈ હતી. જેણે 2014માં લોકસભામાં પૂર્ણ બહુમત મેળવી સત્તા મેળવી હતી. 2014ની લોકોસભાના પરિણામોથી સમગ્ર દુનિયામાં  મોદીનો મેજિકની ચર્ચાઓ થઈ હતી. 

હવે વાત રાજ્યસભાની હાલમાં રાજ્યસભામાં કુલ 245 સભ્યો છે. રાજ્યસભામાં બહુમતી મેળવવા 126નો આંકડો જરૂરી છે. આમ તો ભાજપ હેઠળનું NDA ગઠબંધન હજી રાજ્યસભામાં બહુમતીથી દૂર છે, પરંતુ જેવી રીતે દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં એક પછી એક ભાજપની જીત થઈ રહી છે. તે એક વિચારવા જેવી બાબત છે. આવી જ રીતે આગામી સમયમાં પણ રાજ્યોની વિધાનસભા ભાજપના કબજામાં જતી રહી તો રાજ્યસભામાં પણ ભાજપને બહુમતી મળી શકે છે.

તસવીરઃ- Google Photo

એક હકીકત છે કે, રાજ્યસભામાં કોઈપણ પક્ષના સભ્યોની ત્યારે જ વધે જ્યારે દેશના વિવિધ રાજ્યોની વિધાનસભામાં જે તે પક્ષના ધારાસભ્યોમાં વધારો થાય. જેવી રીતે ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોમાં વધારો થતા રાજ્યસભા માટે 2 સભ્યો ચૂંટાયા છે. શુક્રવારે દેશના 7 રાજ્યોમાં રાજ્યસભાની 26 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં ભાજપને સૌથી વધારે 12 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને 5, TMCને 4, JDUને 1, SPને 1 અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિને 3 બેઠકો મળી છે. કુલ 17 રાજ્યોમાં રાજ્યસભાની કુલ 58 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 10 રાજ્યોમાં 33 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યાં છે. જેમાંથી ભાજપના કુલ 16 ઉમેદવારોની જીત થઈ છે. આમ કુલ 58 બેઠકોમાંથી ભાજપે 28 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસના હાથમાં 10 બેઠકો જ આવી છે.

સંસંદમાં રાજ્યસભાની 15 રાજ્યોની જુદી જુદી 58 બેઠકો ખાલી પડી હતી. જેમાં 10 રાજ્યોની 33 બેઠકો બિનહરીફ જ જાહેર થઈ છે. આ બિનહરીફ સભ્યોમાં ભાજપના સૌથી વધુ સભ્યો ચૂંટાયા છે. જે દેશની સંસદના લોકતંત્ર માટે ખતરા સમાન છે. કેમ કે ભાજપ વર્ષ 2014ની લોકભાની ચૂંટણી બાદ લોકસભામાં પૂર્ણ બહુમતી સાથે ઉભરી આવી હતી. હવે રાજ્યસભામાં પણ બહુમતી આવી જશે, તો ભાજપ ઈચ્છે તે જ થશે. જો કે, હાલ રાજ્યસભામાં ભાજપ પાસે 72 સભ્યો છે અને રાજ્યસભામાં બહુમતી મેળવવા કુલ 126 સભ્યોની જરૂર છે, એટલે કે ભાજપ હજુ બહુમતીથી 54 સભ્યો દૂર છે. રાજ્યસભામાં કોઈ સત્તા પક્ષની બહુમતી દેશ માટે ખતરા સમાન જ કહેવાય. કારણ કે, જો રાજ્યસભામાં સત્તા પક્ષને બહુમતી મળી તો સત્તાધારી પાર્ટી પોતાની ઈચ્છા મુજબ વિધાયક(બિલ) લાવી શકે છે, યા તો પોતાનાની મનમાની કરી વિવિધ ખરડાને મંજૂરી આપી કાયદા બનાવી શકે છે.

તસવીરઃ- Google Photo

હાલ દેશમાં લોકશાહીનું મંદિર ગાણાતી સંસદમાં સત્તાધારી પક્ષે તામમ પદો પર પોતની પાર્ટીના લોકોને બેસાડી દીધા છે. દેશના રાષ્ટ્રપતિ પણ ભાજપ સમર્થિત, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ પણ સત્તા પક્ષના નેતા અને લોકસભાના અધ્યક્ષ પણ સત્તા પક્ષના છે. આ સિવાય લોકસભામાં ભાજપની જંગી બહુમતી અને રાજ્યસભામાં ભાજપના સભ્યોમાં વધારો એ દેશની સંસદીય લોકશાહી માટે ખતરારૂપ છે. આમ, ભાજપને મળતી બહુમતી દેશ માટે કેવી સાબિત થાય છે, એ તો આવનાર સમય જ બતાવશે.   

No comments:

Post a Comment