Tuesday, September 19, 2017

શું જન વિકલ્પ જનતાનો વિકલ્પ બનશે?

શું જન વિકલ્પ જનતાનો વિકલ્પ બનશે?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ગુજરાતની રાજનીતિમાં નવા નવા વળાંકો આવી રહ્યાં છે. એક તરફ યુવાન નેતાઓએ જાતિગત રાજકારણનો માહોલ ઉભો કર્યો છે. તો બીજી તરફ શંકરસિંહ વાધેલાએ નવા પક્ષને જન્મ આપ્યો છે. શું બાપુનો આ જન વિકલ્પ મોરચો ગુજરાતના રાજકારણમાં ભાજપ કે કોંગ્રેસ સામે ટકી શકશે? ચાલો જાણીએ જન વિકલ્પ મોરચાનું ભવિષ્ય.

સૌપ્રથમ તો બાપુની રાજકીય સફરમાં આવેલા એક મોટો વળાંક વિશે વાત કરીએ. જ્યારે ગુજરાતમાં રાજકીય કટોકટી જાહેર થઇ તેમાં બાપુએ ભાજપમાંથી બળવો કર્યો હતો. બાદમાં અટલજીએ સમાધાન માટે એક બેઠક યોજી. જેમાં બાપુની શરતોને માન્ય રખાઇ હતી. આ શરતોને આધારે બાપુએ નવા મુખ્યમંત્રી માટે કાશીરામ રાણાનું નામ સુચવ્યું હતું, પરંતુ છેલ્લે સુરેશ મહેતાની સરકાર રચાઇ હતી અને મહેતા ગુજરાતના 11મા મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ 11 માસ બાદ ફરી બાપુએ સરકાર ઉથલાવતા મહેતાને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. બાદમાં બાપુએ કોંગ્રેસના ટેકાથી 23 ઓક્ટોમ્બર 1996ના રોજ નવી સરકાર રચી હતી. શંકરસિંહે પોતાની 11 માસની સરકારમાં અનેક કામો કર્યાં. જેમાં નોકરીના પડતર કેસોનો ઉકેલ લાવ્યા, રાજ્યમાં સૌપ્રથમવાર જિલ્લા વિભાજનનો નિર્ણય કર્યો, ખેડૂતો માટે 18 કલાક વીજળી તથા વીજળી હોર્સપાવર ઘટાડ્યા, ડોક્ટરો માટે ‘ટીકુ’ પંચનો અહેવાલ અમલમાં લાવ્યા હતા. પરંતુ છેલ્લે કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતા બાપુને સત્તા છોડવી પડી હતી.

હાલમાં બાપુએ નવી પાર્ટીની રચના કરતા કહ્યું કે જો આગામી સમયમાં જન વિકલ્પની સરકાર રચાશે તો યુવાનોને મોબાઇલ ફોન અને ગૃહિણીઓને ઘરનું ઘર અપાશે. પરંતુ એક નવા પક્ષને ચલાવવા માટે સૌપ્રથમ આર્થિક ભંડોળ, રાજકીય અનુભવી નેતાઓ, જાતિગત સપોર્ટ તથા લોકોનો સપોર્ટ હોવો જરૂરી છે.
જન વિકલ્પ મોરચાની વાત કરીએ તો શંકરસિહ પોતે આર્થિક રીતે સધ્ધર છે. જો તેમના વેવાઇ અને  ગુજરાત વિધાનસભાના સભ્ય બળવંતસિંહ રાજપૂત જન વિકલ્પમાં જોડાય તો બળવંતસિંહ પાસેથી પણ મોટું ભંડોળ મળી શકે છે. બળવંતસિંહ વિધાનસભાના તમામ ધારાસભ્યોમાં સૌથી વધુ ધનીક ધારાસભ્ય છે. આ સિવાય બાપુ પાસે મોટા ઉદ્યોગપતિઓનો પણ સપોર્ટ હોવાથી ચૂંટણી લડવા માટે ઉદ્યોગપતિઓ પણ મદદ કરી શકે એમ છે. રહી વાત અનુભવની તો બાપુ પાસે ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પાર્ટીનો અનુભવ છે. બાપુ ગુજરાત રાજ્યમાં 11 માસની સરકાર પણ ચલાવી ચૂક્યા છે. માટે રાજનીતિનો સારો એવો અનુભવ બાપુ પાસે છે. આ સિવાય બાપુનો દિકરો મહેન્દ્રસિંહ વાઘેલા પણ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય પદ પર છે.

હવે વાત જન વિકલ્પ મોરચાને ચલાવવાની તો બાપુ હાલ તો મોરચો સંભાળી શકે એમ છે. બીજી તરફ દિકરો મહેન્દ્રસિંહ અને વેવાઇ બળવંતસિંહ પણ બાપુના સપોર્ટમાં છે. આ સિવાય બાપુએ કોંગ્રેસને છોડી ત્યારે બાપુ સાથે કેટલાક ધારસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. આ તમામ નેતાઓ પણ જન વિકલ્પમાં જોડાઇ મોરચાને સંભાળી શકે તેમ છે. આ નેતાઓ પાસે પણ રાજકીય અનુભવ છે.
જન વિકલ્પ મોરચો અને જાતિગત રાજકારણની વાત કરીએ તો બાપુ એક ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને ગુજરાતમાં સૌથી મોટો મતદાર વર્ગ ઠાકોર સમાજ એટલે કે ક્ષત્રિય સમાજ છે. રાજ્યમાં હાલ આ સમાજના પ્રશ્નોને વાચા આપવા અલ્પેશ ઠાકોર અને બીજા કેટલાક ઠાકોર નેતાઓ અસ્તિત્વમાં આવ્યા છે અને અલ્પેશ પણ પોતાની માંગને લઇને શરતો આધિન સપોર્ટ કરવાની વાત કરી રહ્યો છે.

જો બાપુ અલ્પેશની શરતોને સ્વીકારી લે તો અલ્પેશનો સપોર્ટ પણ મળી શકે છે. બાપુ અલ્પેશના સપોર્ટથી ઉત્તર ગુજરાતમાં પણ મોટો પ્રભાવ પાડી શકે એમ છે, કેમકે ઉત્તર ગુજરાતની તમામ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર જે વિધાનસભા બેઠક અંદર આવે છે એ બેઠક પર છેલ્લી કેટલીય ટર્મથી ભાજપના એક ઠાકોર ધારાસભ્ય ચૂંટાઇ આવે છે. આ સિવાય અલ્પેશ ઠાકોરને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આખા ગુજરાતના કુલ મતદારોમાં ક્ષત્રિય સમાજના લગભગ 40% જેટલા મતદારો છે.  જો મતદારો એક થાય તો કોઇ સમાજ સ્પર્ધામાં પણ આવી શકે તેમ નથી. જો બાપુને અલ્પેશ ઠાકોરનો સપોર્ટ મળે તો જન વિકલ્પને સારો પ્રતિસાદ મળી શકે છે.
એક હકીકત એ પણ છે કે ગુજરાતમાં કોઇ સ્થાનિક પક્ષ પણ નથી માટે જન વિકલ્પ જનતાનો વિકલ્પ બની શકે છે પણ હા..... નવા પક્ષને પ્રથમવારમાં ચૂંટણી જીતવી એ મુશકેલી ભર્યું કાર્ય તો છે જ, પરંતુ આ ચૂંટણી સિવાય ભવિષ્યમાં જનતા જન વિકલ્પને પોતાનો વિકલ્પ બનાવી શકે છે.  

તસવીરઃ- Google Photo

No comments:

Post a Comment