16મી લોકસભાનો કાર્યકાળ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણથી સમાપ્ત થઈ ગયો છે. આ દરમિયાન PM મોદી અને સ્પીકર સુમિત્રા મહાજને બધા સભ્યોને સદનની કાર્યવાહીમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. લોકસભાનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ લોકસભા સચિવાલય દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર, 16મી લોકસભા 15મી લોકસભા કરતા સારી રહી છે. આ લોકસભામાં સૌથી વધુ કાર્ય થયું છે અને બિલ પણ વધુ પસાર થયાં છે.
ગૃહના કામકાજ સિવાય બધા જ રાજકીય દળના નેતાઓની સક્રિયતા વિશે વાત કરીએ તો કેટલીક રસપ્રદ હકીકતો સામે આવે છે. જેમાં સામાન્ય મુદ્દાઓ પર સરકારને આડે હાથ લેનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. રાહુલ સિવાય ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેવૌડા અને સમાજવાદી પક્ષના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે પણ 16મી લોકસભામાં એક પણ પશ્ન પૂછ્યો નથી.
સંસદીય કાર્યવાહી પર દેખરેખ રાખનાર વેબસાઇટ parliamentarybusiness.com દ્વારા બુધવારના રોજ સદનની કામગીરી પર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેવૌડા અને મુલાયમ સિંહ યાદવે એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. આ સિવાય એક પણ પ્રશ્ન ન પૂછનારમાં ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા સહિત 31 સાંસદો સામેલ છે.
લોકસભા એટલે સંસદનું નીચલું ગૃહ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ભાષણમાં એ વાતનો ઉલ્લેખ કર્યો કે, સદનમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 200થી વધુ બિલ પસાર થયા છે. જો 15મી લોકસભા એટલે UPA-2ના કાર્યકાળની વાત કરીએ તો આ દરમિયાન 181 બિલ પસાર થયા હતાં. જેથી 15મી લોકસભાની સરખામણીમાં 16મી લોકસભાની 10.49 ટકા વધુ બિલ પસાર થયાં છે.
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન લોકસભામાં 65000થી વધુ વાર વિક્ષેપ થયો. જેથી લોકસભાની કાર્યવાહીના 500 કલાક બરબાદ થયા. જાહેર અહેવાલ મુજબ, બધા સાંસદો પોતાની સંસદીય વિકાસ નિધિનો ખર્ચ કરવામાં પાછળ રહ્યાં. જેમાં PM મોદીએ માત્ર 62.96 ટકા ખર્ચ કર્યો, જે બહુ ઓછો કહેવાય, ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કુલ 60.56 ટકા ખર્ચ કર્યો. મોદીએ વિવિધ વિકાસ કર્યો માટે વિવિધ મંત્રાલય દ્વારા હજારો કરોડના અનેક મોટાં પ્રોજક્ટ લાગુ કર્યાં, પરંતુ તે સંસદ વિકાસ નિધિ હેઠળ નથી.
જ્યાં સસદ વિકાસ વિકાસના કુલ ખર્ચની વાત કરીએ, તો અત્યાર સુધીમાં માત્ર 30 ટકા ખર્ચ થયો. જેથી વધારાના નાંણા સરકારી ખજાનાની શોભા બન્યાં. કહેવાનો અર્થ એ છે કે, સાંસદોને દર વર્ષે મળતી સંસદીય વિકાસની રકમ પણ પુરેપુરી વાપરી નથી. સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ આકડાં મુજબ, 10 જાન્યુઆરી, 2019 સુધીમાં ખર્ચ કર્યા વગરના 4021.13 કરોડ રૂપિયા જમા રહ્યાં છે. મહત્વની વાત તો એ છે કે, સંસદ વિકાસ નિધિને ખર્ચમાં મહિલા સાંસદોનું પ્રદર્શન વધુ સારું છે. મહિલા સાંસદોએ 72 ટકા રકમ ખર્ચી છે, જ્યારે પુરુષ સાંસદોએ માત્ર 69.33 ટકા રકમનો ખર્ચ કર્યો છે.
No comments:
Post a Comment